- અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા એન્જિનિયરિંગ કોલેજના વિધાર્થીના પિતાએ દાવો દાખલ કર્યો
- રસિકભાઈએ ગેમ સંચાલક રેસવે એન્ટરપ્રાઇઝ સામે દાવો દાખલ કર્યો
- ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરી કલેકટર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર તરીકે જોડયા
અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીના પિતાએ દાવો દાખલ કર્યો.મૃતક નિરવ વેકરીયાના પિતા રસિકભાઈએ ગેમ સંચાલક રેસ વે એન્ટરપ્રાઇઝ સામે રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો.ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરી કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા.
સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલે બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી તેવું કોર્ટ સમક્ષ જણાવ્યું.
મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી : હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. SIT ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાઓનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.
હાઈકોર્ટે કરી લાલઆંખ
રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. SIT ઉપરાંત ખાતાકીય તપાસના આદેશો અપાયા છે કે, આ ગેમ ઝોનની શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે ચાલ્યું? શહેરી વિકાસ વિભાગને ખાતાકીય તપાસના આદેશો અપાયા છે. ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે 15 દિવસમાં ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. નગરપાલિકાના અધિકારીઓની શું ભૂમિકા હતી અને કયા અધિકારીઓએ તેમની જવાબદારી નિભાવી નથી તે જણાવવું પડશે.