રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક મુદત પડી છે અને આરોપીઓને કોર્ટે છેલ્લું અલ્ટીમેટમ આપીને વકીલ રોકવા માટે તાકીદ કરી છે. જણાવી દઈએ કે આગામી 7 નવેમ્બરના રોજ આ કેસને લઈને સુનાવણી થશે.
આરોપી ધવલ ઠક્કરને લીગલ એડમાંથી વકીલની ફાળવણી કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે 15 આરોપીઓ પૈકી કુલ 10 આરોપીઓના વકીલ રોકવામાં આવ્યા નથી. અગાઉ 4 બાદ આજે વધુ એક આરોપીના વકીલ રોકાયા છે. આરોપી ધવલ ઠક્કરને લીગલ એડમાંથી વકીલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ઈલેશ ખેર, મનસુખ સાગઠીયા, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના વકીલોએ અગાઉ વકીલાતનામું રજૂ કર્યું હતું. હાલમાં સ્પેશિયલ પી પીની દલીલ આરોપીઓ વકીલ ન રોકતા કેસ ડીલે થઈ રહ્યો છે, ત્યારે આગામી છઠ્ઠી મુદતની સુનાવણી 7 નવેમ્બરના રોજ થશે.
સાગઠીયાના વકીલે દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર નાખ્યો
તમને જણાવી દઈએ કે ગઈ મુદતમાં જામીન અરજી સંદર્ભે સુનાવણીમાં સાગઠીયાના વકીલે દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર ઉપર નાખ્યો હતો. સાગઠીયાના વકીલે બચાવમાં કહ્યું હતું કે ડિમોલિશનના અધિકાર માત્ર મ્યુનિસિપલ કમિશનર પાસે હતા, અધિકાર મ્યુનિસિપલ કમિશનર પાસે હોવા છતાં તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી. સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણી દ્વારા 2008થી 2024 દરમિયાન સાગઠીયા દ્વારા કરવામાં આવેલા ડિમોલેશનના હુકમના રેકોર્ડ રજૂ કર્યા હતા.
અગ્નિકાંડમાં આરોપી ભીખા ઠેબાના જામીન મંજૂર
અગાઉ 11 ઓક્ટોબરે TRP અગ્નિકાંડમાં આરોપી ભીખા ઠેબાના જામીન મંજૂર થયા હતા. મનસુખ સાગઠિયા, ભીખા ઠેબાએ જામીન અરજી કરી હતી. કોર્ટે ભીખા ઠેબાના 2 દિવસના જામીન મંજૂર કર્યા હતા. ભીખા ઠેબાના માતાનું અવસાન થતાં વિધિ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે શરતી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.
કોઈપણ ફાયર ઓફિસર ચાર્જ લેવા નથી તૈયાર
બીજી તરફ રાજકોટ TRP અગ્નિકાંડ કેસ બાદ કોઈપણ ફાયર ઓફિસર ચાર્જ લેવા માટે તૈયાર નથી. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે પણ હવે ચાર્જ છોડશે. ચીફ ફાયર ઓફિસરની જવાબદારીમાંથી મુક્તિ માગી છે. તેમને મનપા દ્વારા ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો પણ અગ્નિકાંડ બાદ કોઈપણ અધિકારી ચાર્જ સંભાળવા તૈયાર નથી.













