શહેરમાં છેલ્લા 6 માસ દરમ્યાન જુદા જુદા સ્થળોએ કુલ 6 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત જુદા જુદા સ્થળોએ કુલ 347900 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 5મી જુન 2024 “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિતે બુદ્ધ જયંતિ પાર્ક, નવી દિલ્હી ખાતે પ્રતિકરૂપે પીપળાના વૃક્ષનું વાવેતર કરી “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરાવવામાં આવેલ. ભારત સરકાર દ્વારા આ અભિયાન અંતર્ગત એક દિવસ ખાસ ઝુંબેશ સ્વરૂપે મહતમ વૃક્ષારોપણ કરવા જણાવવામાં આવેલ છે. “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહતમ સ્થળે ખાસ ઝુંબેશ સ્વરૂપે ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ છે. આ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ તા.17/09/2024ને મંગળવારના રોજ સમય સવારે 9.00 કલાકે સ્કાય ઇન્ફિનિટી પ્રોજેકટ સાઈટની બાજુનો ગાર્ડન હેતુ માટેનો પ્લોટ, સ્માર્ટ સીટી વિસ્તાર, અટલ સરોવરની બાજુમાં, રૈયા, રાજકોટ વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે.













