ઉતરાયણ એટલે આનંદ અને ઉત્સાહના સમન્વયનો પર્વ. જોકે અબાલ વૃદ્ધ સૌ કોઈને ગમતો આ તહેવાર પક્ષી જગત માટે મોતનું કારણ બને છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા છેલ્લા 10 વર્ષથી ચાલતા કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે 20 જેટલી એમ્બ્યુલન્સ તેમજ 20 જેટલા કલેક્શન સેન્ટર થકી પક્ષી જગતને બચાવવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે.
જિલ્લા વન વિભાગ દ્વારા 8 તાલુકાઓમાં 20 જેટલા કલેક્શન સેન્ટરો બનાવાયા
સાબરકાંઠા વન વિભાગ દ્વારા ગત વર્ષે 326 જેટલા ઘાયલ પક્ષીઓને વિવિધ કલેક્શન સેન્ટરોમાં એકઠા કરાયા હતા, જે પૈકી 16 પક્ષીઓના મોત થયા હતા. બાકીના તમામ પક્ષીઓની સારવાર બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે આ વર્ષે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ સ્કૂલ સહિત વન વિભાગ દ્વારા વિવિધ ગામડાઓમાં રેલીઓ યોજી બેનર થકી પક્ષીઓને બચાવવા માટે વિશેષ જહેમત હાથ ધરી છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા 8 તાલુકાઓમાં 20 જેટલા કલેક્શન સેન્ટરો બનાવાયા છે. સાથોસાથ વિવિધ સેન્ટરો થકી 20 જેટલી એમ્બ્યુલન્સ વાન પણ પક્ષીઓની સારવાર માટે તૈનાત કરવામાં આવી છે અને પક્ષી જગતને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત ટોલ ફ્રી નંબર 1962 પણ રજૂ કરાયો છે, જે થકી કોઈપણ પક્ષી ઘાયલ હાલતમાં મળી આવે તો ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરવાથી પક્ષીને બચાવવા માટે સહભાગી બનવા વન વિભાગે અપીલ કરી છે.
ચાઈનીઝ દોરીથી પતંગ ન ચગાવવાની અપીલ
એક તરફ પક્ષી જગતને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંકુલો થકી રેલી તેમજ બેનર થકી પક્ષી જગતને બચાવવા માટે રેલીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જિલ્લા વન વિભાગ દ્વારા વહેલી સવાર તેમજ સાંજના સમયે પક્ષીઓ જ્યારે મોટી સંખ્યામાં આકાશમાં હોય તેવા સમય ચાઈનીઝ દોરીથી પતંગ ન ચગાવવાની અપીલ કરવામાં આવી છે. જેમાં વહેલી સવાર તેમજ સાંજના સમયે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે પતંગ રસિયાઓ આ સમયગાળા દરમિયાન પતંગ ચગાવે તો પક્ષી જગત માટે કાતિલ બનતી દોરીથી તેમના મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે. જોકે સાબરકાંઠામાં છેલ્લા 10 વર્ષથી ચાલતા કરુણા અભિયાન અંતર્ગત આ વખતે પક્ષી જગત માટે વન વિભાગની મહેનત કેટલી કામે લાગે છે એ તો સમય બતાવશે.