સુરતના ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડક્ટસ અને RK એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળયુકત અને બનાવટી ઘી બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. શુદ્ધ ઘીના નામે વેચાતા ભેળસેળયુક્ત શુભ બ્રાન્ડ ગાયના ઘીનો જથ્થો પકડાયો છે.
ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી
ખોરાક અને અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વીર મિલ્ક પ્રોડક્ટસ અને RK એન્ટરપ્રાઈઝ ખાતેથી કૂલ 5 નમુના લઈ રુપિયા 69 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે સ્થળ પર સામ-સામે આવેલી બંને પેઢીમાં ઘીની બનાવટમાં ઘીના એસેન્સ, વેજીટેબલ ફેટ અને ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, જેથી સ્થળ પર જ 25 ટન જથ્થો કે જેની અંદાજીત કિંમત 69 લાખ થવા જાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
વીર મિલ્ક અને આર.કે.એન્ટરપ્રાઈઝ સામે કાર્યવાહી
આજે કરેલી રેડ દરમિયાન ઉત્પાદક પેઢી વીર મિલ્ક પ્રોડક્ટસ, 108 હની ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી કુલ 3 નમુનાઓ તથા આશરે 5000 કીલોગ્રામ ગાયનું ઘી, 2400 કિલોગ્રામ શુભ બ્રાન્ડ ગાયનું ઘી તથા 140 કિલોગ્રામ જેટલો ઘીના એસેન્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સાથે ઉપરોક્ત પેઢીના સામે આવેલી પેઢી RK એન્ટરપ્રાઈઝ ખાતેથી કુલ 2 નમુના લેવામાં આવ્યા છે, 10,200 કિલોગ્રામ જેટલો વેજ ફેટ અને 7000 કિલોગ્રામ જેટલો ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ઘીના એસેન્સનો ઉપયોગ
RK એન્ટરપ્રાઈઝ અને વીર મિલ્ક પ્રોડક્ટસ પેઢી એકબીજા સાથે સંકળાયેલી છે તથા RK એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ ઈશ્વરભાઈ ભરતીયા બંને ભાઈ છે તેવુ વીર મિલ્ક પ્રોડક્ટસના માલિક ભુપેશ ઈશ્વરભાઈ ભરતીયાએ કબુલ્યુ હતું. આ સાથે વેજ ફેટ, મલેશીયાથી આયાત કરીને લાવવામાં આવતા ફેટી એસિડ મોનો એન્ડ ડાય ગ્લિસરાઈડ અને ઘીના એસેન્સનો ઉપયોગ કરી બનાવટી ઘી બનાવવાની મોડ્સ ઓપરેન્ડી ચાલતી હોવાની જાણવા મળ્યું છે તથા લેબોરેટરી ટેસ્ટીંગમાં ભેળસેળ પકડાઈ નહીં તે માટે આ કેમિકલનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય વેપારીઓમાં ફેલાયો ફફડાટ
કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઈસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ વસ્તુઓ બનાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.













