મકર સંક્રાતિ તહેવારની ધામધૂમથી ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. મકર સંક્રાતિનો દિવસ ધાર્મિક રીતે પણ ખાસ મહત્વ ધરાવે છે. આજના દિવસે દાન અને ગૌ પૂજનનું અનેરું મહત્વ છે. લોકો વહેલી સવારે મંદિરમાં પૂજન કરી ગૌ શાળામાં જાય છે અને ગૌ માતાનું પૂજન કરી ઘાસચારો અથવા તો ખીચડો ધરાવે છે. મકર સંક્રાતિમાં દાનનો પણ મહિમા છે. આજના દિવસે કરાતું દાન ઉત્તમ ફળ આપે છે તેવી માન્યતા છે. અમદાવાદમાં આજે જગન્નાથ મંદિર અને પાંજરાપોળમાં ગૌ પૂજન માટે ભીડ ઉમટી પડી.
આજે 14 જાન્યુઆરીના રોજ સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. પ્રકૃતિમાં થતો આ બદલાવ તમામ લોકોને અસર કરે છે. અને આથી જ આપણા દરેક તહેવારમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય થાય છે. પ્રકૃતિ સાથે તાલ મિલાવવા તેને ધાર્મિક બાબતો સાથે વણી લેવામાં આવી છે. અત્યારે સૂર્ય પોતાની સ્થિતિ બદલે છે અને આવા સમયમાં ખાસ કરીને તલ અને ગોળનું દાન કરવામાં આવે છે.
વિશિષ્ટ વસ્તુનું દાન
બદલાતા વાતાવરણમાં આપણું શારીરિક સમતોલન ના બગડે માટે તલ અને ગોળમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું સેવન કરવાનું ખાસ માહાત્મ્ય છે. અને આથી જ આજના દિવસે કોઈને પણ તલ, ગોળ, બોર અને જામફળ જેવી ખાદ્ય પદાર્થની વસ્તુઓનું દાન કરવામાં આવે છે.આ ઉપરાંત ઉનના કપડાં, ધાબળો તેમજ દીપ દાન જેવી ખાસ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિ મુજબ દાન કરવાથી ઘરની આર્થિક પ્રગતિ થાય છે તેમજ દેવોના આર્શીવાદ પણ મળે છે. આજના દિવસે રાશિ મુજબ દાન કરવાથી વધુ પુણ્ય ફળ મળે છે.
ગૌ પૂજન અને નદીમાં સ્નાન
મકરસંક્રાંતિ તહેવાર પર ઠેર ઠેર દાતાઓ દાન કરી રહ્યા છે. આજના દિવસે દાનની સાથે નદીમાં સ્નાનનું પણ મહત્વ છે. ખાસ કરીને પવિત્ર નદીઓ એવી ગંગા અને યમુના નદીમાં આજે સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. નદીઓ ઉપરાંત ત્રિવેણી સંગમ સ્થળ પર તેમજ કૂવા અને તળાવમાં પણ સ્નાન કરી અનેક લોકો ધાર્મિક પૂજા કર્યા બાદ દાન કરતા હોય છે. આજના દિવસે કેટલાક સ્થાનો પર સમૂહ ગૌ પૂજન કાર્યક્રમ પણ યોજવામાં આવતો હોય છે. જેમાં અંધ, અપંગ અને બીમાર ગૌધનની સેવા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગૌ પૂજન કરવાથી પરિવારને આર્થિક સમૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન અને યશ પણ મળે છે.