સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ, જાહેર જનતાની, જાનમાલની સલામતી અર્થ વેચવામાં આવતા વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતાં ફટાકડાં (દારૂખાના) થી આગનાં, અકસ્માતનાં અને તોફાનોના બનાવો ન બને તે આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
લાયસન્સધારક વેપારીઓ
આ જાહેરનામાં અનુસાર, સુપ્રિમ કોર્ટ દ્વારા ભારે ઘોંઘાટ, હવા પ્રદુષણ, ધ્વનિ પ્રદૂષણ કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે, ઓછા એમિશન ઉત્પન્ન કરે છે, તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. પેટ્રોલીયમ અને એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકૃત અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ નિયમ મુજબ કરી શકશે.
ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી
ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટ ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાનું વેચાણ કરી શકશે નહી. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, દિવાળી તથા અન્ય તહેવારો નિમિત્તે ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાકથી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.
દીવા અને ફાનસ જોડે ના રાખે વેપારીઓ
આ ઉપરાંત હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇપણ વેન્ડર, લારી-ગલ્લા ટેમ્પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે, તેને અટકાવવા આવા વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ, ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પુખ્ત વ્યક્તિઓ સાથે ન હોય ત્યાં સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફટાકડા વેચવાના રહેશે નહીં. ફટાકડાનાં સંગ્રહ અને વેચાણ દરમિયાન ધુમ્રપાન અથવા કોઈપણ પ્રકારના દીવા, ફાનસ, મીણબત્તીને મંજુરી આપવાની રહેશે નહી.
ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે
ફટાકડાની દુકાનમાં પર્યાપ્ત માત્રામાં અગ્નિશામક સાધનો, રેતીની ડોલ રાખવાની રહેશે. દુકાનની સામે કોઈ કામચલાઉ શેડ કે પ્લેટફોર્મ બનાવવાના રહેશે નહી તેમજ દુકાનમાં વિદ્યુત લાઈટનું વાયરીંગ યોગ્ય રીતે કરવાનું રહેશે. વધુમાં, હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, કોર્ટ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તેમજ જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર ફટાકડા ફોડી શકાશે નહીં તથા ચાઈનીઝ તુકકલ અને આતશબાજ બલુનના વેચાણ તેમજ ઉડાડવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવે છે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૮.૧૦.૨૦૨૪ થી તા.૧૫.૧૧.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૨૩ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
શું છે ગ્રીન ફટાકડા
નિર્ધારિત મર્યાદામાં ઘોંઘાટ અને ધુમાડો ફેંકતા ફટાકડાને સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન અથવા ઇકોફ્રેન્ડલી ફટાકડા તરીકે માન્યતા આવી છે. તેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે.













