ગુજરાતમાં હોળી તહેવાર પર જુદા-જુદા વિસ્તારોમાં અલગ-અલગ પદ્ધતિથી તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હોળી કા દહનને લઈને વિવિધ વિસ્તારોમાં વૈદિક તેમજ શાસ્ત્રોક્ત અને પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવાનું મહત્વ છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. આ વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી પરંતુ માટીમાંથી એક પ્રતિમા બનાવી તેને વિદાય આપવામાં આવે છે. આ પ્રતિમાને વિદાય કરતી વખતે લોકોની ભીડ ઉમટી પડે છે.


પરંપરાગત અનોખી ઉજવણી

જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે.અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી, આરતી કરી, સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.

ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હોવાની માન્યતા

લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે. અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું.અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે. અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે. અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.

  • Follow us on: