ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના કારણે ઠંડી વધી ગઈ છે.અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે.ત્યારે ગુજરાતનાં પ્રવાસીઓ માટે ઉત્તરાખંડ ફરી સ્વર્ગ બન્યું છે.આવા હવામાનને લીધે સપ્તાહના અંતે મસૂરી,નૈનીતાલ અને રાજ્યના અન્ય ઘણા સ્થળો પર પ્રવાસીઓ આવવાની સંભાવના છે.ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે અપડેટ જારી કરી છે.
શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તરાખંડમાં બે દિવસના હળવા વરસાદ અને હિમવર્ષા બાદ હવામાન હવે શુષ્ક બની ગયું છે.ઠંડીમાં ભારે વધારો થયો છે.રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.પહાડી વિસ્તારોથી મેદાની વિસ્તારોમાં હિમ લાગવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહી શકે છે.સવાર-સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.જો કે દિવસ દરમિયાન તડકાથી થોડી રાહત મળી રહી છે,પરંતુ રાત્રે હિમ અને ઠંડીની અસર વધી રહી છે.રાજધાની દેહરાદૂન અને ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં રાતો એકદમ ઠંડી બની ગઈ છે.ગુરુવારે દહેરાદૂનમાં મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.પંતનગરમાં મહત્તમ તાપમાન 23.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ હતું. મુક્તેશ્વરમાં મહત્તમ તાપમાન 17.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી નોંધાયું હતું.
આગામી દિવસોમાં ઠંડીની અસર વધશે
ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા જતા પ્રવાસીઓ ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે.હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં હિમવર્ષા અને વરસાદ બાદ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે, જે આગામી દિવસોમાં વધુ વધી શકે તેમ છે.
હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. 8 અને 9 ડિસેમ્બરે ચકરાતા, હરસિલ, નૈનીતાલ અને મુક્તેશ્વર જેવા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી, ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડી વધી હતી.દેહરાદૂન અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ધુમ્મસ અને હિમના કારણે શિયાળાની અસર વધી છે.
પ્રવાસન સ્થળો પર ઠંડીની અસર
શિયાળાની ઋતુમાં ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે ગુજરાતથી જતા પ્રવાસીઓએ પહેલેથી જ હોટેલ તેમજ અન્ય સુવિધાઓનું બૂકિંગ કરાવી લેવું જોઈએ.મસૂરી,નૈનીતાલ,રાનીખેત અને મુક્તેશ્વર જેવા મુખ્ય પ્રવાસન સ્થળો પર ઠંડીની અસર વધી રહી છે.
હિમવર્ષા માણવા લાયક ઉત્તરાખંડના ૧૦ સ્થળો
મસુરી ચોપતા ધનોલ્તી ચક્રાતા ઔલી
મુન્શીયારી કૌશાની નૈનીતાલ મુક્તેશ્વર
બિનસાર
હવામાન વિભાગની ચેતવણી
તાજેતરમાં મસૂરીમાં હિમવર્ષા થઈ હતી.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડીની અસર વધુ વધશે. ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જે તાપમાનમાં વધુ ઘટાડો લાવી શકે છે હાલમાં પણ લઘુત્તમ તાપમાન માઈનસમાં છે. નૈનીતાલમાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, જ્યારે રાનીખેતમાં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.