અમદાવાદમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો. આજે ઠંડીની સાથે જોરદાર પવનના કારણે પતંગ રસિકો ગેલમાં આવી ગયા છે. લોકોની સાથે સેલિબ્રિટિ પણ આજે પતંગ ચગાવવાના મૂડમાં જોવા મળ્યા. આજે શહેરમાં કલાકારો અને નેતાઓ પણ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ઉત્તરાયણ તહેવાર અમદાવાદ માટે વધુ ખાસ હોય છે. પતંગોના તહેવારમાં ભૌગોલિક રીતે શહેરની મહત્વની પૃષ્ઠભૂમિ એટલે પોળનું સામ્રાજ્ય રહે છે. આજના દિવસે અનેક સેલિબ્રિટી પણ તહેવારનો આનંદ માણવા શહેરની પોળની મુલાકાત લેતા હોય છે. સેલિબ્રિટીના પતંગ ચગાવવાના વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અમદાવાદની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિતશાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર સહિત કાર્યકર્તાઓ સાથે મેમનગર વિસ્તારના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં ધાબા પર પતંગ ચગાવવાનો આનંદ લીધો.
રાજ્યમાં ઉત્તરાયણ તહેવારની ઉજવણીમાં કલાકારો અને નેતાઓ પણ સામાન્ય લોકોની જેમ ધાબે ચઢી પતંગ ચગાવવાનો આનંદ લે છે. આજે ખ્યાતનામ કલાકારો પણ પતંગ ચડાવવા ધાબે ચઢયા છે. સિંગર દેવ પગલીએ ઉત્તરાયણની ઉજવણી કરી. માનસી દવેએ ગીતોની મોજ સાથે પતંગ ચગાવી. ભરતદાન ગઢવી અને શૈલેષ ગોસ્વામી જેવા કલાકારો પણ ટેરેસ પર ઉત્તરાયણ તહેવારની મોજ માણી રહ્યા છે. જયારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પતંગ ચગાવવાની સાથે ખાસ સંદેશ પણ આપ્યો છે. હકાભાએ કહ્યું કે આજના દિવસે આપણે દુશ્મનાવટ દૂર કરી આનંદની ઉજવણી કરીએ. કલાકારો પણ વૈમનસ્ય છોડી વિવાદનો અંત લાવે અને પતંગ ચગાવે.

ગુજરાતના એવરગ્રીન ડાન્સર કહેવાતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડીયાએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તહેવારની ઉજવણી દરમ્યાન હિતુ કનોડિયાએ રાજનીતિને લઈને મોટું નિવેદન આપ્યું. હિતુ કનોડિયાએ કહ્યું કે જેના હાથમાં ડોર છે તે કહેશે ત્યારે ચગશે. વર્ષોથી અમારો પરિવાર આ તહેવારની સાથે જ ઉજવણી કરે છે. ઉત્તરાયણ હોય કે દિવાળી દરેક તહેવારના સમયે પરિવાર સાથે રહી ઉજવણી કરતો હોય છે. જણાવી દઈએ કે હિતુ કનોડિયા પોતાના પિતાની જેમ જ ગુજરાતી ફિલ્મોમાં વધુ લોકપ્રિય બન્યા છે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો એક સાથે રીલિઝ થઈ રહી છે.

કલાકારોની જેમ નેતા પણ પતંગ ચગાવી ખાસ સંદેશ આપી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસા ખાતે કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી કરી. અને એ સંદેશ પણ આપ્યો કે સંગઠનમાં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે. મંત્રી મંડળમાં વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં.
રાધુનપુરના MLA લવિંગજી ઠાકોરે પતંગના માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો. નેતાએ પતંગ ચગાવી રાધનપુરથી ચાણસ્મા હાઇવેને ફોરલેન બનાવવા માંગ કરી. કચ્છથી રાધનપુરથી પાલનપુરથી મહેસાણાથી અમદાવાદ સુધી ફોરલેન રોડ બની ગયો છે પરંતુ રાધનપુરથી ચાણસ્મા ફોરલેન રોડ મંજુર કરવાની કામગીરી બાકી છે.રાધનપુરથી ચાણસ્મા હાઇવે પર અમદાવાદ,બનાસકાંઠા તેમજ કચ્છ સુધીના વાહનોનું ભારે ટ્રાફિક પસાર થાય છે. રાધનપુરથી ચાણસ્મા ફોરલેન હાઇવે બનશે તો માર્ગ અકસ્માત ઘટશે અને વાહનોનું ઇંધણ બચશે.અને આથી જ લવિંગજી ઠાકારે પતંગ ચગાવી પોતાની રજૂઆત કરી.

વડોદરામાં સાંસદ ડો.હેમાંગ જોશીએ ઉત્તરાયણની ઉજવણી કરી. આ તહેવાર પર તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો અમારો પરિવાર છે. ‘આજે રાજકીય દાવપેચ નહીં પતંગના પેચ કાપી તહેવારની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરીએ.