રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઇએલર્ટ જાહેર કરાયું છે અને દરિયામાં 3 થી 3.5 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારોને દરિયો ખેડવાથી દૂર રહેવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.


વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના દરિયાકાંઠે એલર્ટ

દરિયા કિનારાના વિસ્તારો જેવા કે વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર, ઉના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને દરિયાની નજીક ન જવા અપીલ કરાઇ છે. દરિયાકાંઠે 45થી 50 કિમીની ઝડ઼પે પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ના ખેડવા જણાવાયું છે. મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવામાં આવ્યું છે.

મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલે મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84 ટકા વરસાદ વરસી ચુક્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં જળાશયો તથા નદી તળાવો છલકાયા છે. મેઘરાજાની મહેર આ વર્ષે સારી રહેતા ખેડૂતોને પણ ફાયદો થયો છે.


  • Follow us on: