ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યપ્રાણીઓના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળની સૂચના મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ્સ નિર્ધારિત ગતિનું પાલન અને ખાસ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે.
વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 7 સિંહોને બચાવી લેવામાં આવ્યા
આ નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 7 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે 06.06.2025 (શુક્રવાર) ના રોજ, લોકો પાયલટ લોકેશ નાયક (મુખ્ય મથક-બોટાદ) અને સહાયક લોકો પાયલટ બિપિન કુમાર (મુખ્ય મથક-બોટાદ) દ્વારા સાવરકુંડલા-લીલીયા મોટા સેક્શન વચ્ચે કિ.મી. નં. 40/9 પર એક સિંહ રેલવે ટ્રેક પર બેઠલો જોવા મળ્યો અને માલગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી.
લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરી
ફોરેસ્ટ ટ્રેકર તુષાર મહેતા અને પ્રવીણ ભાઈ આવ્યા અને બધી સ્થિતિ સામાન્ય જણાતા, લોકો પાઇલટને રવાના થવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ લોકો પાઇલટ દ્વારા ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી. માહિતી મળતાં, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓએ લોકો પાઇલટ્સના પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા કરી.