• રાજ્યમાં કુલ 312 જગ્યાઓ પર યોજાશે યોગના કાર્યક્રમ

  • મુખ્યપ્રધાન બીએસએફના જવાનોની કરશે મુલાકાત
  • રાજ્ય સરકારના મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લામાં આપશે હાજરી

રાજ્યના ગૃહપ્રધાન અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આવતીકાલે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યમાં કુલ 312 જગ્યાઓ પર કાર્યક્રમ યોજાશે. શાળાઓ, જેલ, પોલીસ, સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે, આ સિવાય 2 દેશની સરહદો પર પણ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર પર ફેન્સિંગ પાસે પણ લોકો યોગમાં જોડાશે. મુખ્યપ્રધાનની આગેવાનીમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન થશે.

CM ભુપેન્દ્ર પટેલ સાથે હજારો લોકો કરશે યોગ

વધુમાં રમત ગમત મંત્રીએ જણાવ્યું કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે હજારો લોકો યોગ કરશે. યોગ દિવસના કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન બીએસએફના જવાનો સાથે મુલાકાત કરશે અને ત્યાં અલ્પાહાર કરશે. આપણી સંસ્કૃતિ યોગ હવે દુનિયા સુધી પહોંચી છે. યોગ દિવસનો નારો આપતા તેમને કહ્યું કે 'સ્વયં અને સમાજ માટે લોકો યોગ કરે' અને માત્ર યોગ દિવસે જ નહીં પણ દરરોજ યોગ કરી શકે તેના માટે પણ યોગ બોર્ડ કામ કરે છે.

ગૃહપ્રધાન અમિત શાહ પણ વતનમાં

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે, આ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ સુરતમાં હાજર રહેશે અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ અલગ અલગ જિલ્લામાં હાજર રહેશે. 

  • Follow us on: