• લેન્દ્રા ગામ નજીકના જંગલમાં સવારે 6 વાગે સુરક્ષા કર્મીઓની ટીમે ઓપરેશન પાર પાડ્યું

  • ઘટનાસ્થળેથી 4 નક્સલવાદીઓના મૃતદેહ, એક લાઇટ મશીનગન અને હથિયારો મળ્યાં
  • મધ્યપ્રદેશના બાલાઘાટમાં પણ સુરક્ષા દળોએ બે પ્રખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં પણ સુરક્ષા દળોએ બે પ્રખ્યાત નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

 ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યાં

મળતી માહિતી અનુસાર, બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામ નજીકના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે એન્કાઉન્ટર થયું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શનની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક લાઇટ મશીનગન અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલી અને લેંદ્રાના જંગલોમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

બીજાપુરમાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન

બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. જેને લઈને ત્યાંના સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે. બીજી તરફ, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં બે ઈનામી નક્સલવાદીઓ માર્યા ગયા છે.

કેરહારી જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે ગોળીબાર શરૂ થયો

અધિકારીએ જણાવ્યું કે કેરહારી જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, બાદમાં પોલીસે વિસ્તારની શોધખોળ શરૂ કરી અને બે નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા, માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ સજંતિ ઉર્ફે ક્રાંતિ અને રઘુ ઉર્ફે શેર સિંહ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે સ્થળ પરથી એક AK-47 રાઈફલ, 12 બોરની રાઈફલ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

  • Follow us on: