- ભારત દુનિયાના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં ત્રીજા નંબરે
- વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 80 લાખથી વધુ લોકોના મોત
- વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર જોવા મળે છે બાળકોમાં
'IQAIR'ના રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં ત્રીજા નંબર પર છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના 83 શહેરોની હવા વિશ્વ આરોગ્ય સંસ્થાની એર ક્વોલિટી ગાઈડલાઈન કરતા પણ ખરાબ છે. હવે વધુ એક અહેવાલે ભારતીયો માટે ચિંતા વધારી છે. બુધવારે જાહેર કરાયેલ સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર 2021માં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.6 લાખ બાળકો વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
રિપોર્ટ મુજબ, 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 80 લાખથી વધુ લોકોના મોત થયા છે. જેમાં ભારતમાં 21 લાખ અને ચીનમાં 23 લાખ લોકોના મોતનો સમાવેશ થાય છે. ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પર આધારિત અંદાજ મુજબ દક્ષિણ એશિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયુ પ્રદૂષણ સંબંધિત મૃત્યુદર દર 1,00,000 દીઠ 164 છે, જ્યારે વિશ્વની સરેરાશ 100,000 દીઠ 108 છે.













