- સીઆઈએની ટીમ દરોડા પાડવા માટે રાજ્યના હોશિયારપુર જિલ્લામાં પહોંચી હતી
- મુકેરિયન ગામમાં રાણા મન્સૂરપુર પાસે ગેરકાયદેસર હથિયારની માહિતી મળી હતી
- પોલીસ કર્મીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
પંજાબ પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સીઆઈએની ટીમ દરોડા પાડવા માટે રાજ્યના હોશિયારપુર જિલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન ગુનેગારો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો.
CIAને ગેરકાયદેસર હથિયારની માહિતી મળી હતી
મળતી માહિતી મુજબ, પંજાબ પોલીસની CIA ટીમને માહિતી મળી હતી કે હોશિયારપુરના મુકેરિયન ગામમાં રાણા મન્સૂરપુર નામના વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર છે, ત્યારબાદ જ્યારે ટીમ મુકેરિયન પહોંચી તો ત્યાં ગુનેગારો તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ફાયરિંગની ઘટનામાં પોલીસ કર્મીને ગોળી વાગતાં શહીદ
દરોડા દરમિયાન થયેલા ફાયરિંગમાં એક ગોળી CIAના કર્મચારીને વાગી હતી. પોલીસકર્મીને છાતી પર ગોળી વાગી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે રવાના થયા હતા.