ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વર્ષે પણ અયોધ્યાનો 8મો દીપોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ પ્રસંગે સરયૂ નદીના 55 ઘાટો પર 28 લાખ દીવા પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવની તૈયારીના ભાગરૂપે ડો.રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીએ દીવા અને સ્વયંસેવકોની સંખ્યા નક્કી કરી છે, જેથી આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજનબદ્ધ કાર્ય મોટા પાયે થઈ શકે.


55 ઘાટ પર 28 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે

આ કાર્યક્રમ અંતર્ગત સરયૂ નદીના 55 ઘાટ પર 28 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. ઘાટ સંયોજકોની દેખરેખ હેઠળ રામ કી પૌડી, ચૌધરી ચરણ સિંહ ઘાટ અને ભજન સંધ્યા સ્થળ સહિત અન્ય તમામ ઘાટ પર દીવા પગટાવવામાં આવશે. આ ઉપરાંત 14 સંલગ્ન કોલેજો, 37 મધ્યવર્તી કોલેજો અને 40 સ્વૈચ્છિક સંસ્થાઓના લગભગ 30,000 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશે. ઘાટ પર દીવાઓની સંખ્યા અને સ્વયંસેવકોનું વિતરણ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું છે.

ઘાટ પર દીવા અને સ્વયંસેવકોની સંખ્યા

અવધ યુનિવર્સિટીએ ઘાટ પર પ્રગટાવવામાં આવતા દીવાઓ અને તૈનાત થનાર સ્વયંસેવકોની સંખ્યાનો વિગતવાર ડેટા પણ જાહેર કર્યો છે. ઉદાહરણ તરીકે રામ કી પૌડીના ઘાટ 1 પર 65,000 દીવા પ્રગટાવવા માટે 765 સ્વયંસેવકો તૈનાત કરવામાં આવશે, જ્યારે 447 સ્વયંસેવકો ઘાટ 2 પર 38,000 દીવા પ્રગટાવવા માટે જવાબદાર રહેશે.

55 ઘાટ પર દીવાની સંખ્યા પ્રમાણે સ્વયંસેવકો તૈનાત કરાશે

એ જ રીતે ઘાટ 3 પર 48,000 દીવા માટે 565 સ્વયંસેવકો અને 61,000 દીવા માટે 718 સ્વયંસેવકો ઘાટ 4 પર તૈનાત રહેશે. તેવી જ રીતે તમામ 55 ઘાટ પર દીવાની સંખ્યા પ્રમાણે સ્વયંસેવકો તૈનાત કરવામાં આવશે. વિવિધ કોલેજો અને સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વયંસેવકો આ કાર્યક્રમમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેશે અને ઘાટ પર દીવાઓની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરશે.

સ્વયંસેવકની ભાગીદારી અને આઈકાર્ડનું વિતરણ

દીપોત્સવના નોડલ ઓફિસર પ્રો. સંત શરણ મિશ્રાએ કહ્યું કે, 30 ઓક્ટોબરે યોજાનાર આ રોશની ઉત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 24મી ઓક્ટોબરથી ઘાટો પર દીવાઓનું કન્સાઇનમેન્ટ આવવાનું શરૂ થઈ ગયું છે અને 25 ઓક્ટોબરથી ઘાટો પર દીવા મુકવાનું કામ પણ શરૂ થશે. સ્વયંસેવકોના આઈ-કાર્ડનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે, જેમાંથી સંસ્થાઓના અધિકારીઓને 15,000થી વધુ આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. શુક્રવાર સુધીમાં તમામ સંસ્થાઓને આઈ-કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

25 ઓક્ટોબરે અંતિમ તાલીમ બેઠક યોજાશે

અંતિમ તાલીમ બેઠક 25 ઓક્ટોબરે સવારે 11:30 કલાકે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાશે. આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રની સાથે યુનિવર્સિટીના તમામ ડીન, વિભાગના વડાઓ, સંયોજકો, આચાર્યો અને ઘાટ ઈન્ચાર્જ હાજર રહેશે. આ મિટિંગનો હેતુ દીપોત્સવની અંતિમ તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો છે, જેથી 30 ઓક્ટોબરે દીપોત્સવના દિવસે કાર્યક્રમ સરળતાથી પૂર્ણ થઈ શકે.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી

સરયૂ નદીના 55 ઘાટો પર 28 લાખથી વધુ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે ફરી એકવાર અયોધ્યાને વિશ્વ મંચ પર સ્થાપિત કરશે. રોશનીનો આ તહેવાર માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે અયોધ્યાની સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.

  • Follow us on: