અયોધ્યામાં નવા બનેલા રામલલ્લાના મંદિરનું આકર્ષણ અને ત્યાં આશીર્વાદ લેવાની શ્રદ્ધા ભક્તોને હોય છે ત્યારે રામના નામે ધુતારાઓએ લોકો સાથે રૂપિયા 51 થી માંડીને અધધ રૂપિયા 3.85 કરોડ સુધીની ઓનલાઇન ઠગાઇ કરી છે. ભાવિકોએ પ્રસાદ તો મગાવ્યો પણ પહોંચ્યો નહીં તેવું આ કૌભાંડ કેવી રીતે ભક્તો સાથે આચરવામાં આવ્યું તેની વાંચો સિલસિલાબંધ વિગતો.
રામજન્મ સ્થળ અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરના પ્રસાદ માટે ઠગોએ ભક્તોને છોડ્યા નથી. વેબસાઈટના માધ્યમથી પ્રસાદ મગાવ્યો અને ચૂકવણા માટે ગેટવે પણ બનાવ્યો છતાં પ્રસાદ પહોંચાડ્યો નથી અને શ્રદ્ધાળુઓની ભક્તિ સાથે છેતરપિંડી કરી છે. જોકે, અયોધ્યા પોલીસને આ કારસ્તાન ધ્યાને આવતાં આરોપીને પકડી લેવાયો છે, રૂપિયા 2.15 કરોડની રિકવરી થઈ શકી છે અને ભાવિકોને પાછા આપ્યા છે.
શાતિર મગજના આરોપી આશિષે શ્રદ્ધાને વેપાર બનાવ્યો
2024 માં એક તરફ અયોધ્યા ઝગમગી ઉઠ્યું હતું તો બીજીબાજુ રામલલ્લાના નામ ઉપર શાતિર મગજના આરોપી આશિષે શ્રદ્ધાને વેપાર બનાવી નાખ્યો હતો. માહિતી મુજબ વેબસાઇટથી ઓનલાઈન પ્રસાદ મગાવવાની વ્યવસ્થા કરીને લોકોને આર્થિક ઠગવાનું શરૂ કર્યું. માત્ર રૂપિયા 51 થી શરૂઆત કરીને આ કૌભાંડમાં રૂપિયા 3.85 કરોડ સુધી ઠગાઇની રકમ ખંખેરી લીધી. સાઇબર પોલીસ મથકના વરિષ્ઠ અધિક્ષક ડૉ. ગૌરવ ગ્રોવરના નેજા તળે તપાસ ટીમ રચવામાં આવી છે. તપાસ અંતર્ગત આરોપી આશિષને જેલભેગો કરાયો છે. અયોધ્યા પોલીસે 3 કરોડ 85 લાખમાંથી 2 કરોડ 15 લાખ રૂપિયા શ્રદ્ધાળુઓના ખાતામાં પુન: જમા કરાવ્યા છે. 1.70 કરોડની રિકવરીની પ્રક્રિયા ચાલી રહી છે. તે પણ પરત ચૂકવવામાં આવશે તેમ દાવો કરાયો છે.
દેશના સાયબર ઇતિહાસમાં મોટી સફળતા
પ્રસાદ કૌભાંડ પકડાયું એ અયોધ્યા પોલીસની મોટી સફળતા છે પણ સાથે સાથે દેશના સાયબર ઇતિહાસમાં પણ મોટી સફળતા છે. લોકોએ ઓનલાઇન પ્રસાદના નામે સતર્ક રહેવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભગવાનના નામે, મંદિર કે તીર્થધામ કે સંસ્થાના નામે પહેલા તપાસ કર્યા બાદ ચૂકવણું કરવું જોઈએ.
તમે પણ સાયબર હેલ્પલાઈન પર જાણ કરી શકો છે
આવા પ્રસાદ કૌભાંડમાં તમે કે તમારા કોઈ પરિચિત ભોગ બન્યા હોય તો સાયબર પોલીસની મદદ લઈ શકાય છે. સાયબર હેલ્પલાઈન નંબર 1930 ઉપર ફોન કરીને વિગતો જણાવી શકાય છે. હાલમાં અયોધ્યા પોલીસ પકડેલા આ પ્રસાદ કૌભાંડના પર્દાફાશની નોંધ લેવાઈ છે.