દેશના મોટાભાગના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાના દિવસોમાં અચાનક જ વરસાદે આગમન કર્યુ છે. આ વરસાદ ખેડૂતો માટે કમૌસમી સાબિત થયુ છે. ભારે વરસાદ અને ગાજવીજ સાથે કડકતી વીજળીઓએ પાકને નુકસાન પહોંચાડ્યુ છે. ખેડુતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આર્થિક રીતે તો નુકસાન થયુ છે પરંતુ સાથે જ વીજળી પડવાની ઘટનાએ પણ સંખ્યા વધારી છે. જેના કારણે બિહાર અને યુપીમાં બે દિવસમાં 84 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
હવામાનમાં અચાનક ફેરફાર
દેશના ઘણા ભાગોમાં હવામાનમાં અચાનક આવેલા ફેરફારને કારણે ભારે વિનાશ થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, તોફાન, વરસાદ અને વીજળી પડવાથી બિહારમાં 59 અને ઉત્તર પ્રદેશમાં 25 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઝારખંડમાં ચાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં બે-બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને પાકેલા ઘઉંના પાક અને કેરીના બગીચામાં મોટું નુકસાન થયું છે.
બિહારમાં સૌથી વધુ નુકસાન
બિહારના 11 જિલ્લાઓમાં વીજળી પડતા અને તોફાનને કારણે 59 લોકોના મોત થયા છે. નાલંદા જિલ્લામાં સૌથી વધુ 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. નાગવાન ગામમાં દેવી સ્થાનની દિવાલ પર પીપળાનું ઝાડ પડવાથી છ લોકોના મોત થયા હતા. ભોજપુરમાં માતા અને પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે સિવાનમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા હતા. ઉત્તર બિહાર અને સીમાંચલમાં પણ ઘણા લોકો મોતને ભેટ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકને સૌથી વધુ અસર
ઉત્તર પ્રદેશમાં સવાર સુધી ભારે વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘઉંનો પાક સડવાની આરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય અને પાકના નુકસાનનો સર્વે કરાવાનું વચન આપ્યુ છે. મુરાદાબાદના ટીએમયુ કેમ્પસમાં વીજળી પડતાં પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઝારખંડમાં ભારે પવન અને કરા પડવા વચ્ચે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક BSF જવાનનું પણ વીજળી પડવાથી મોત થયું હતું. તે બિહારના જમુઈ જિલ્લાનો રહેવાસી હતો. હરિયાણા અને ઉત્તરાખંડમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં નદીઓ પૂરની સ્થિતિમાં છે અને ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
રાજ્યોમાં બરફવર્ષા અને કરા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, દિલ્હી-એનસીઆરમાં જોરદાર વાવાઝોડું, હળવો વરસાદ અને કરા પડ્યા. એક કલાકમાં તાપમાન છ થી દસ ડિગ્રી ઘટી ગયું. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હિમાચલના શિમલા, મંડી અને સિરમૌર જિલ્લામાં કરા પડવાથી સફરજનના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 થી 48 કલાકમાં ભારે પવન, વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પંજાબમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.