ઝારખંડમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ઉમેદવાર વૈદ્યનાથ રામની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને હારનો સામનો કરવો પડ્યો છે.


ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વધુ ત્રણ મત હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા. પરિમલ નથવાણીએ કુલ 28 મત મેળવી જીત હાંસલ કરી, જ્યારે કોંગ્રેસ ઉમેદવારને માત્ર 20 મત મળ્યા હતા. પરિમલ નથવાણી માટે આ જીત ખાસ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ચોથી વખત રાજ્યસભા માટે ચૂંટાયા છે. પરિણામ જાહેર થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઝારખંડમાંથી આ તેમનો ત્રીજો કાર્યકાળ હશે અને 2008માં તેમની સંસદીય યાત્રાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

તેમણે પોતાના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી નેતૃત્વ તેમજ એનડીએના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ઝારખંડ વિધાનસભાના તમામ સભ્યોનો પણ આભાર માન્યો જેમણે તેમને મત આપ્યો. પરિમલ નથવાણીએ કહ્યું કે તેઓ નવા સંકલ્પ અને ઈમાનદારી સાથે ઝારખંડ અને તેના લોકોના હિત માટે સતત કાર્ય કરતા રહેશે. તેમણે “જોહાર ઝારખંડ” કહીને પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ચૂંટણી પરિણામો ઝારખંડની રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, જેમાં NDA અને JMM બંનેને જીત મળી છે જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.


  • Follow us on: