દિલ્હી હાઈકોર્ટે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ અંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી હાથ ધરી હતી. અદાલતે તબીબોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે તેમના સ્વાસ્થ્ય માટે સતત દેખરેખ અત્યંત જરૂરી છે.

સફદરજંગ હોસ્પિટલ-અન્ય તબીબો વચ્ચે સર્વસંમતિ સધાઇ

એઈમ્સ, સફદરજંગ હોસ્પિટલ અને અન્ય ખાનગી તબીબો વચ્ચે આ મામલે સચોટ સર્વસંમતિ સધાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર સામે કોઈ પણ પ્રકારનો વિરોધ નોંધાવ્યો ન હતો, પરંતુ શરત મૂકી હતી કે તબીબી સલાહ અને પરવાનગી વગર તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે. સોનમ વાંગચુક હાલમાં NEET પેપર લીક વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા CJP વિદ્યાર્થીઓના સમર્થનમાં આમરણાંત ભૂખ હડતાળ પર બેઠા હતા, જેના કારણે તેમની તબિયત લથડી હતી.

તમામ રિપોર્ટ્સ સોંપાશે મેંદાતા હોસ્પિટલને

અદાલતના આદેશ અનુસાર, સફદરજંગ હોસ્પિટલ પાસે રહેલા સોનમ વાંગચુકના તમામ મેડિકલ રેકોર્ડ અને રિપોર્ટ્સ તાત્કાલિક મેદાંતા હોસ્પિટલના તબીબોને સોંપવામાં આવશે જેથી તેમની યોગ્ય સારવાર આગળ ધપાવી શકાય. વાંગચુકની બગડતી તબિયતને લઈને તેમના સમર્થકો અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે મેદાંતા હોસ્પિટલ ખાતે તેમને ઉત્તમ તબીબી સુવિધાઓ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આ હકારાત્મક નિર્ણયથી પરિવારને મોટી રાહત મળી છે અને તબીબી દેખરેખ હેઠળ તેમની કાળજી રાખવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે.

આ પણ વાંચોઃ CJP Protest: પ્રદર્શન દરમિયાન છોડવામાં આવેલો ટીયર ગેસ કેવી રીતે કરે છે કામ? પહેલા આ દેશે કર્યો હતો ઉપયોગ