- ચક્રવાત તેજને લઇને હવામાન વિભાગની આગાહી
- અરબી સમુદ્રમાં સર્જાયુ ડિપ ડિપ્રેશન
- આગામી છ કલાકમાં ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના
અરબસાગરમાંથી ઉદભવેલુ ચક્રવાત તેજ રવિવાર સુધીમાં ભયંકર રૂપ લે તેવી શક્યતા છે. શુક્રવારે હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગનું કહેવુ છે કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓછા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે. દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન યમનના લગભગ 820 કિમી E-SE અને લગભગ 1100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી છ કલાક દરમિયાન SW અરબી સમુદ્ર પરના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને 22 ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે શુક્રવારે સોશિયલ મીડિયા પર આ માહિતી પોસ્ટ કરી હતી.
માછીમારોને દરિયા કિનારે ન જવાની સલાહ
IMDએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરના રોજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં મધ્યમથી ગંભીર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરે તે ગંભીરથી અત્યંત ગંભીર બનવાની શક્યતા છે. 24 થી 26 ઓક્ટોબર સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. આ દરમિયાન માછીમારોએ 26 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવો તેમજ દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત પર કોઇ અસર નહી
જો કે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાત પર કોઈ અસર થશે નહી. ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તેથી ગુજરાત પર તેની કોઈ અસર નહીં થાય. IMDના એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. IMD અનુસાર, ચક્રવાત 23 અને 24 ઓક્ટોબરે કેરળમાં અને 24 ઓક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
શું છે ચક્રવાત તેજ ?
ચક્રવાત 'તેજ' રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ઓમાન અને પડોશી યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ચક્રવાતના નામકરણ માટે, ભારત દ્વારા ચક્રવાતને 'તેજ' નામ આપવામાં આવ્યું છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સમુદ્રથી લઇને ઉચ્ચ સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ છે. જે 21 થી 23 ઓક્ટોબર સુધી અત્યંત તોફાનમાં બદલાય તેવી સંભાવના છે.