દિલ્હીમાં રાજકારણ ગરમાયુ છે. આપ પાર્ટી અને બીજેપી વચ્ચે સત્તા, સીએમ, ઘરને લઇને ઘર્ષણ ચાલી રહ્યુ છે. ત્યારે હવે બીજેપીએ આપ પાર્ટી પર ધારદાર પ્રહાર કર્યા છે. બીજેપીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં આતિશી માર્લેનાના નિવેદનને સૌ ચોંકી ગયા છે. દશેરાનો અવસર હતો ત્યારનો આ વીડિયો છે જેમાં દિલ્હી સીએમ આતિશી માર્લેનાએ આપેલુ નિવેદન લોકોને ચોંકાવી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
દિલ્હી બીજેપીના ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે ભાજપે દાવો કર્યો કે આતિશીએ કહ્યું કે અસત્યની હંમેશા જીત થાય છે, અન્યાયની હંમેશા જીત થાય છે. આ વીડિયો અંગે સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતુ નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. દિલ્હીના સીએમનું આ નિવેદન ચોમેર વાયરલ થઇ રહ્યું છે.
આપની માનસિકતાનું પ્રદર્શન- વિરેન્દ્ર સચદેવા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ સોશિયલ મીડિયામાં આતિશીના નિવેદનનો એક વીડિયો શેર કરીને લખ્યુ છે વિજયા દશમી પર્વ છે. અસત્ય અને અન્યાય સામે સત્યની જીતની ઉજવણી થઇ રહી છે. દિલ્હી પહેલેથી જ આપના વિધર્મી અને ભ્રષ્ટ ચરિત્રથી પરિચિત છે તેવામાં બીજી તરફ સીએમ આતિશીનું કહેવુ છે કે અસત્યની જીત થઇને રહેશે અને અન્યાયની જીત થઇને રહેશે. આ તેમની માનસિકતાનું પ્રદર્શન છે. હિંદુ જનભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ છે. તેમણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે માફી માગવાની માગ કરી. જે પ્રકારે આપ સીએમના વિચાર છે તે જોઇને દિલ્હીના જન માનસમાં તેમને સત્તાથી હાંકી કાઢવાનું મન બનાવી લીધુ છે.
દિલ્હીમાં વિવિધ જગ્યાએ યોજાઇ રામલીલા
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં દશેરાના અવસર પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આપ નેતા અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ અલગ-અલગ જગ્યાએ રામલીલામાં ગયા હતા. દિલ્હીના મુખ્યમંત્રીએ આઈપી એક્સટેન્શનની રામલીલામાં ભાગ લીધો હતો. આ પહેલા આતિષીએ પણ મંચ પરથી સંબોધન કર્યું હતું.