ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા બાદ બંને દેશ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તેની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચી નવી દિલ્હી પહોંચ્યા છે, જ્યાં અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમની મુલાકાત ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત આવ્યાના થોડા દિવસો પહેલા જ અરાઘચી પાકિસ્તાન ગયા હતા. ઓગસ્ટ 2024માં પદ સંભાળ્યા પછી ઈરાનના વિદેશ મંત્રીની આ પહેલી ભારત મુલાકાત છે.



દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરાશે

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ અરાઘચીનું સ્વાગત કર્યું અને તેમની મુલાકાતના મહત્વ પર ભાર મૂક્યો છે. રણધીર જયસ્વાલે તેમની અગાઉની પોસ્ટમાં લખ્યું કે 'ભારત-ઈરાન સંયુક્ત કમિશનની બેઠક માટે નવી દિલ્હી પહોંચવા પર વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીનું હાર્દિક સ્વાગત છે.' ભારત-ઈરાન મિત્રતા સંધિની 75મી વર્ષગાંઠ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા અને વધારો કરવાની તક છે.

ભારત-પાકિસ્તાન મુદ્દા પર ચર્ચાની આશા

તેમની મુલાકાત દરમિયાન અરાઘચી 20મી ભારત-ઈરાન સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરશે અને હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રી સાથે વાતચીત કર્યા પછી અરાઘચી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'ભારત-ઈરાન મિત્રતા સંધિ પર હસ્તાક્ષરની 75મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સંયુક્ત કમિશનની બેઠકમાં બંને દેશો વચ્ચેના પરસ્પર હિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આગળ વધવાના માર્ગ પર વિચાર કરવામાં આવશે.'

  • Follow us on: