ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ માલગાડીને પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલા કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને પલટી મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યું હતુ. રેલવે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા.
સદનસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી
મળતી માહિતી મુજબ, અજમેરના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા DFCC ટ્રેક પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટ બ્લોક્સ મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.
રેલવે કર્મચારીએ FIR નોંધાવી
આ અંગે DFCC કર્મચારી રવિ અને વિશ્વજીતે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. બંને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે, 8 સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10.30 વાગે રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક નાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જ્યારે મેકેની શોધ કરવામાં આવી ત્યારે પથ્થર તૂટીને પડ્યો હતો. આ સિવાય કેટલાક અંતરે અન્ય એક બ્લોક તૂટેલા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાનું ષડયંત્ર
આ પહેલા, રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે, કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું હતું, પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસે રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી ગેસથી ભરેલા સિલિન્ડરને ટક્કર મારી હતી. ત્યાર બાદ જોરદાર અવાજ પણ થયો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગનપાઉડર સાથે માચીસ મળી આવી હતી. આ ઘટનાની આતંકવાદી ષડયંત્રના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.