ભગવાન ભોલેનાથની નગરી કાશીમાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. વળી મહાશિવરાત્રિ નજીકમાં છે એટલે ભક્તોનો ધસારો તો રહેવાનો જ. મહાકુંભનો પણ આવતીકાલે અંતિમ દિવસ. એટલે ભીડતો વધારે રહેવાની જ છે. ત્યારે કાશી વિશ્વનાથમાં જનારા વીઆઇપી શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં વીઆઇપી લોકો માટે 25થી 27 ફેબ્રુઆરી સુધી મંદિર દર્શનની સુવિધા પર રોક લગાવી દીધી છે.
પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય
કાશીમાં વીઆઇપી શ્રદ્ધાળુઓએ સામાન્ય વ્યક્તિની જેમ જ દર્શન કરવા પડશે. 25થી 27 ફેબ્રુઆરી સુધી તમામ VIP દર્શન સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે આ ૩ દિવસ દરમિયાન, દરેક વ્યક્તિ સામાન્ય નાગરિકની જેમ મંદિરમાં દર્શન કરી શકશે. શહેરમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરીને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને કહ્યું છે કે મહાકુંભને કારણે મોટી સંખ્યામાં ભક્તો કાશીમાં પ્રવેશ કરી રહ્યા છે.
કાશીની ગલીઓ ભક્તોથી ભરાઇ
મંદિર પ્રશાસનનુ કહેવુ છે કે અત્યાર સુધી ફક્ત 5 થી 6 લાખ ભક્તો તહેવારો અથવા કોઈપણ ખાસ તિથિ પર કાશી વિશ્વનાથના દર્શન કરવા આવતા હતા. પરંતુ જ્યારથી મહાકુંભ શરૂ થયો છે, ત્યારથી દરરોજ લગભગ 7 લાખ કે તેથી વધુ ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈપણ મુશ્કેલભરી પરિસ્થિતિ ટાળવા માટે મંદિર વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
મહાશિવરાત્રીએ કેટલા આવી શકે શ્રદ્ધાળુઓ ?
- મહત્વનું છે કે મહાશિવરાત્રીના દિવસે ભક્તોની સંખ્યા 14 થી 15 લાખની વચ્ચે રહે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં મંદિર પ્રશાસને પણ આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંદિર વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિમાં ભીડનું સંચાલન કરવાના ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણે લોકોને અપીલ કરી છે કે તેઓ મહાશિવરાત્રી પર તેમની સુવિધા મુજબ પૂરતા સમય સાથે દર્શન માટે આવે કારણ કે લાઇનમાં ઉભા રહેવાથી ઘણો સમય બગાડી શકાય છે.
- ભક્તોને કોઈપણ અસુવિધા ટાળવા માટે ઘરે કે હોટેલમાં પેન, કાંસકો, મોબાઈલ, બેલ્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ચાવીઓ વગેરે મૂકીને આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
- વૃદ્ધો અને બાળકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
- એવું કહેવામાં આવ્યું હતું કે મંદિર પ્રશાસને તેમના માટે ઘરે બેસીને બાબાના દર્શન કરવાની વ્યવસ્થા કરી છે.