- રાહુલ ગાંધી બન્યા વિપક્ષના નેતા
- વિપક્ષના નેતાનો દરજ્જો મળ્યો રાહુલગાંધીને
- કેસી વેણુગોપાલે કરી જાહેરાત
ઓમ બિરલા આજે સતત બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 10 વર્ષ બાદ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી. રાહુલ ગાંધીનો વિરોધ પક્ષના નેતાનો દરજ્જો 9 જૂન, 2024થી લાગુ થશે. કોંગ્રેસે સાંસદ રાહુલ ગાંધીને મંગળવારે (25 જૂન) વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે તેમના નામની જાહેરાત કરી હતી.
પહેલા સોનિયા ગાંધી હતા આ પદ પર
અગાઉ 2009 થી 2014 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિવંગત નેતા સુષ્મા સ્વરાજ લોકસભામાં વિપક્ષના નેતા હતા. કોંગ્રેસના છેલ્લા વિપક્ષી નેતા સોનિયા ગાંધી હતા જેમણે 1999 થી 2004 સુધી આ પદ સંભાળ્યું હતું. આ સિવાય રાજીવ ગાંધી 18 ડિસેમ્બર 1989થી 24 ડિસેમ્બર 1990 સુધી વિપક્ષના નેતા પણ હતા.
ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લેવાયો નિર્ણય
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની નિમણૂક કરવાનો નિર્ણય નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં લોકસભામાં રાયબરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે મંગળવારે બંધારણની નકલ લઈને સાંસદ તરીકે શપથ લીધા હતા.
શું હોય છે વિપક્ષ નેતાનો રોલ?
- 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કુલ સીટોના દસ ટકા પણ સીટો મળી ન હતી. હવે વિપક્ષના નેતા બન્યા બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ, ચીફ વિજિલન્સ કમિશનર વગેરેની નિમણૂકમાં રાહુલ ગાંધીનો અભિપ્રાય લેવામાં આવશે.
- જ્યારે હવે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે ત્યારે દેશમાં મહત્વની નિમણૂંકોમાં તેમનો અભિપ્રાય મહત્વનો રહેશે. જો કે કેન્દ્ર સરકારને 2-1થી ફાયદો થશે, રાહુલ ગાંધી હજુ પણ વિપક્ષનો ચહેરો હશે અને આ નિમણૂકોને સમર્થન આપવું કે વિરોધ કરવો તે અંગે સ્ટેન્ડ લેશે. ઉદાહરણ તરીકે, મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરતી વખતે, સમિતિમાં વડા પ્રધાન મોદી, એક કેન્દ્રીય પ્રધાન અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થશે.
- વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે અને તેમની પાસે સંસદમાં ઓફિસ અને સ્ટાફ પણ હશે.
કૂર્તા પાયજામામાં દેખાયા રાહુલગાંધી
વિપક્ષના નેતા બનતાની સાથે જ રાહુલ ગાંધી બદલાયેલી શૈલીમાં દેખાયા. જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ મોટાભાગે સફેદ ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળતા હતા, આજે તેઓ સંસદમાં કુર્તા-પાયજામા પહેરીને જોવા મળ્યા હતા. દરમિયાન, રાહુલ ગાંધીએ બુધવારે ગૃહના નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેમને આશા છે કે તેઓ વિપક્ષને બોલવાની તક આપીને બંધારણની રક્ષા કરવાની તેમની જવાબદારી નિભાવશે.