મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો તોળાઇ રહ્યો છે. એક પોલ્ટ્રી ફાર્મમાં 6000થી વધુ મરઘાં મરી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાને લઇ તપાસ રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પણ પુષ્ટિ થઈ છે. બર્ડ ફ્લૂની એન્ટ્રી બાદ વહીવટીતંત્રે તાત્કાલિક હાઇ એલર્ટ જારી કર્યું છે.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે. કારંજા તાલુકાના ખેર્ડા (જીરાપુરે) ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં 8,000 મરઘાંમાંથી 6,831 મરઘાંના રહસ્યમય મૃત્યુ બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. 27 ફેબ્રુઆરીના રોજ આવેલા તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઇ હતી કે આ મૃત્યુ બર્ડ ફ્લૂના ચેપને કારણે થયા હતા. ત્યાર બાદ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક હાઇ એલર્ટ જારી કર્યું છે.
મરઘાં ફાર્મમાં 20થી 25 ફેબ્રુઆરી દરમિયાન મરઘાંના સતત મૃત્યુઆંક રહ્યો છે. મૃત મરઘીઓના નમૂનાઓ પરીક્ષણ માટે અકોલાની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. આ પછી, પુણેમાં રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પ્રાણી રોગ સંસ્થા અને ભોપાલમાં પ્રયોગશાળામાં પણ વિગતવાર તપાસ કરવામાં આવી. 27 ફેબ્રુઆરીના રોજ, રિપોર્ટમાં H5N1 વાયરસ (બર્ડ ફ્લૂ) ની પુષ્ટિ થઈ છે.
બર્ડ ફ્લૂના રિપોર્ટ બહાર આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારને સેનિટાઇઝ કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. વહીવટીતંત્ર બાકીના મરઘાંઓને દૂર કરવામાં વ્યસ્ત છે. પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘાંઓની હેરફેર અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક તાલુકામાં તહસીલદારની દેખરેખ હેઠળ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે બર્ડ ફ્લૂના ફેલાવા સામે નિવારક પગલાં અમલમાં મૂકવાના આદેશો આપવામાં આવી રહ્યા છે.