- જિલ્લા પરિષદ સ્કૂલમાં 80 બાળકોની તબિયત બગડી
- બિસ્કિટ ખાધા બાદ ઉલટી અને પેટમાં દુઃખાવાનો ફરિયાદ
- ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની મળી ફરિયાદ
સંભાજી નગરના પૈઠણ તાલુકાની કેકત જલગાંવમાં જિલ્લા પરિષદની સ્કૂલમાં 80 બાળકોની તબિયત અચાનક બગડી ગઇ. વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર રૂપે બિસ્કિટ આપવામાં આવ્યુ હતું. જે ખાધા પછી જ વિદ્યાર્થીઓને ઉલટીઓ થવા લાગી હતી. ધીરે ધીરે વધારે બાળકોની તબિયત બગડવા લાગી હતી અને જોત જોતામાં તો તમામ બાળકોની તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરવા લાગ્યા હતા.
257 બાળકોની તબિયત લથડી
શાળાના બાળકોમાં ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળતા જ સરપંચ શાળાએ પહોંચી ગયા હતા અને શિક્ષકો અને અન્ય લોકોની મદદથી વિદ્યાર્થીઓને ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગના કારણે 257 જેટલા બાળકોની તબિયત લથડી હતી. મહત્વનું છે કે કેકટ જલગાંવની જિલ્લા પરિષદ શાળામાં 296 બાળકો અભ્યાસ કરે છે. એવું કહેવાય છે કે શનિવારે હાફ ડે હોવાથી બાળકો સવારે 8 વાગ્યે શાળાએ આવ્યા હતા અને લગભગ 8.30 વાગ્યે શિક્ષકોએ બાળકોને પૂરક ખોરાક તરીકે બિસ્કિટનું વિતરણ કર્યું હતું. જે ખાધા બાદ બાળકોની તબિયત બગડવા લાગી હતી. આ મામલે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
હાલ વિદ્યાર્થીઓની તબિયત સારી
આ અંગે ગ્રામીણ હોસ્પિટલના ડો. બાબા સાહેબ ઘુગે કહ્યુ કે જિલ્લા પરિષદ પ્રાથમિક શાળાના 257 વિદ્યાર્થીઓ બિસ્કિટ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. તેમાંથી 250 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે સવારે સાત વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેથી તે વિદ્યાર્થીઓને સારવાર માટે છત્રપતિ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયા બાદ છત્રપતિ સંભાજી નગરના સાંસદ સંદિપન ભુમરે રવિવારે સવારે બાળકોને જોવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બાળકોની તબિયત અંગે ડોક્ટર સાથે વાત કરી. આ પછી ડોક્ટરોએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. બાળકોની હાલત સારી છે.