મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યુ હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણને ઉશ્કેરવામાં સામેલ હતો. શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેર પ્રમુખ છે.
ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણ આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. FIRમાં તેના નામનો પણ ઉલ્લેખ છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના યશોધરા નગરના સંજય બાગ કોલોનીનો રહેવાસી છે.
નીતિન ગડકરી સામે લોકસભાની ચૂંટણી લડી છે
તેમણે નાગપુર બેઠક પરથી લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ની ટિકિટ પર 2024ની લોકસભા ચૂંટણી લડી હતી, જેમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદથી તેઓ રાજકીય રીતે સક્રિય બન્યા હતા અને શહેરમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગપુર હિંસાનું કાવતરું પહેલાથી જ ઘડવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગપુર હિંસાનું કાવતરું પહેલાથી જ ઘડવામાં આવ્યું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવ્યા. ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.
મહલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે 60થી વધુ તોફાનીઓની અટકાયત કરી હતી.
ઔરંગઝેબની કબરને લઈને શું છે વિવાદ?
થોડા સમય પહેલા એક્ટર વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રીલિઝ થઈ હતી, જે બાદ ઔરંગઝેબનો મુદ્દો ગરમાયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ થોડા દિવસો પહેલા ઔરંગઝેબની કબર હટાવવાની વાત કરી હતી. વિવાદ ત્યારે વધુ વધ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને એક સારો શાસક ગણાવ્યો અને કહ્યું કે તેઓ માને છે કે ઔરંગઝેબ ક્રૂર નથી.
તેણે દાવો કર્યો હતો કે ફિલ્મો દ્વારા ઔરંગઝેબની ખોટી છબી રજૂ કરવામાં આવી રહી છે. ત્યારથી ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ તેજ બની છે. થોડા સમય પહેલા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ધમકી આપી હતી કે જો સરકાર ઔરંગઝેબની કબર નહીં હટાવે તો તે બાબરીનો ભોગ બનશે.