લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેઓ વિદેશમાં જઇને અનેક મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. ત્યારે અનામત મુદ્દે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માયાવતીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.


સત્તામાં આવવાના સપના જોવે છે 

માયાવતીએ પોતાની પોસ્ટ પર લખ્યુ કે કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં રહીને કોંગ્રેસ પાર્ટીની સરકારે OBC અનામતનો અમલ કર્યો ન હતો અને દેશમાં જાતિ ગણતરી કરાવનાર આ પાર્ટી હવે તેની આડમાં સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. આ લોકોના નાટકથી સચેત રહેજો, આગળ પણ ક્યારેય પણ જાતીય ગણતરી કરાવી નહી શકે.


નાટકથી સાવધાન રહેવાની જરૂર

તેમણે પોસ્ટ કરતા વધુમાં લખ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા રાહુલ ગાંધીના આ ડ્રામાથી સાવધાન રહો, જેમણે વિદેશમાં કહ્યું છે કે જ્યારે ભારત વધુ સારી સ્થિતિમાં હશે ત્યારે અમે SC, ST, OBCનું આરક્ષણ ખતમ કરીશું. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ વર્ષોથી અનામત ખતમ કરવાના ષડયંત્રમાં વ્યસ્ત છે. અનામત વર્ગના લોકોએ રાહુલ ગાંધીના આ નિવેદનથી સાવધાન રહેવું જોઈએ. કારણ કે આ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં આવતાની સાથે જ આ નિવેદનની આડમાં તેમનું અનામત ચોક્કસથી ખતમ કરી દેશે. બંધારણ અને અનામત બચાવવાનો ઢોંગ કરતી આ પાર્ટી વિશે આ લોકોને જાણ હોવી જોઈએ.


આરક્ષણ વિરોધી વિચારસરણી શરૂઆતથી

તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ શરૂઆતથી જ અનામત વિરોધી વિચારસરણી ધરાવે છે. જ્યારે કેન્દ્રમાં તેમની સરકારમાં તેમનો અનામત ક્વોટા પૂરો થયો ન હતો, ત્યારે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે કાયદા પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું કારણ કે તેમને આ પક્ષ તરફથી ન્યાય ન મળ્યો. લોકોએ સાવચેત રહેવું જોઈએ. એકંદરે, જ્યાં સુધી દેશમાંથી જાતિવાદ જડમૂળથી નાબૂદ નહીં થાય, ભારતની સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં, આ વર્ગોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારો થવાનો નથી. તેથી જ્યાં સુધી જ્ઞાતિવાદનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી અનામતની યોગ્ય બંધારણીય વ્યવસ્થા ચાલુ રાખવી જરૂરી છે.

રાહુલ ગાંધી શું બોલ્યા હતા ?

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં સંવાદ કર્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીએ તેમને અનામત અંગે પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યું હતું કે અનામત ક્યાં સુધી ચાલુ રહેશે? આના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે ભારતમાં આરક્ષણના સંદર્ભમાં નિષ્પક્ષતા હશે ત્યારે અમે અનામત સમાપ્ત કરવા વિશે વિચારીશું. હાલ ભારત એક નિષ્પક્ષ જગ્યા નથી.


  • Follow us on: