મેરઠના સૌરભ રાજપૂત, જે મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો, જ્યારે લંડનથી સ્વદેશ પાછો ફર્યો ત્યારે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેની પત્ની મુસ્કાને તેની સામે ઘાતક ષડયંત્ર રચ્યું હશે. મુસ્કાન અને તેના પ્રેમી સાહિલે માત્ર સૌરભની હત્યા જ નથી કરી, પરંતુ તેની લાશને છુપાવવા માટે એવું ભયાનક કાવતરું ઘડ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ. આ હત્યાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મુસ્કાનની માતાએ પોલીસને આખી વાત કહી.
માતાએ એક ભયાનક રહસ્ય જાહેર કર્યું
મુસ્કાને વિસ્તારના લોકોને કહેવાનું શરૂ કરી દીધું હતું કે તે સૌરભ સાથે બહાર જવાની છે. સૌરભની હત્યા બાદ તે ઘરને તાળું મારીને સાહિલ સાથે હિમાચલ જતી રહી હતી. બંનેએ ત્યાંની હોટલમાં થોડા દિવસો સુધી મસ્તી કરી. મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે સૌરભના ખાતામાં અંદાજે છ લાખ રૂપિયા હતા. જેને બંનેએ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. આ પછી મુસ્કાન તેની માતા પાસે ગઇ અને પૈસા માંગ્યા. જ્યારે માતાએ સૌરભ વિશે પૂછ્યું તો મુસ્કાને આ વાત સાંભળતા જ ગભરાઈને સમગ્ર ષડયંત્રનો ખુલાસો કર્યો. તેણે જરા પણ વિલંબ કર્યા વગર પોલીસને જાણ કરી. પોલીસે મુસ્કાનને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ કરી, જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
ડ્રમમાં મળી આવ્યો મૃતદેહ, પોલીસ પણ સ્તબ્ધ
પોલીસ મુસ્કાન અને સાહિલને સ્થળ પર લઈ ગઈ અને ઘરની તલાશી લીધી. પોલીસે જ્યારે ઘરની અંદર બંધ ડ્રમ ખોલ્યું તો તે સિમેન્ટથી ભરેલું હતું. લાશને બહાર કાઢવા માટે પોલીસને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. આખરે, ડ્રમ પોસ્ટમોર્ટમ હાઉસ મોકલવામાં આવ્યું હતું, જ્યાં સખત મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
પત્ની અને પ્રેમીએ કર્યુ કાવતરું
સૌરભ રાજપૂત તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની પુત્રી સાથે મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દિરાનગરમાં રહેતો હતો. તેનું પોસ્ટિંગ લંડનમાં હતું, પરંતુ તે થોડા દિવસ પહેલા જ મેરઠ પરત ફર્યો હતો. 2016માં પ્રેમ લગ્ન બાદ સૌરભ અને તેના પરિવાર વચ્ચે તણાવ હતો, જેના કારણે તે છેલ્લા ત્રણ વર્ષથી તેની પત્ની અને પુત્રી સાથે ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે સૌરભ 4 તારીખે મેરઠ પહોંચ્યો ત્યારે મુસ્કાન અને સાહિલે તેની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.