હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. હવે તો ચોમાસાની વાટ જોવાઇ રહી છે. જો કે ઘણા ભાગોમાં તો કમોસમી વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. પરંતુ ચોમાસુ ક્યારે બેસશે તેને લઇને હવામાન વિભાગે એક ખાસ અપડેટ આપ્યુ છે. ચોમાસુ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરી આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે.


ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ

છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદને ટાંકીને હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્ર પર પશ્ચિમી પવનોનો પ્રભાવ વધ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં 'આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન' (OLR) માં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે વાદળછાયું વાતાવરણ દર્શાવે છે. IMD એ સ્પષ્ટતા કરી કે આ બધી પરિસ્થિતિઓ આ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ માપદંડોને પૂર્ણ કરે છે.

ક્યારે ચોમાસુ બેસશે ?

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંદામાન સમુદ્રના બાકીના ભાગો અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

ચોમાસું ક્યારે આવશે?

1 જૂનની આસપાસ ચોમાસુ બેસતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસુ 27 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે. જો આ આગાહી સાચી સાબિત થાય છે તો 2009 પછી આવુ પહેલી વાર હશે જ્યારે ચોમાસું ભારતીય ભૂમિ પર સમય પહેલા પહોંચશે. 2009 માં કેરળમાં ચોમાસાની શરૂઆત 23 મે ના રોજ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 01 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને લગભગ એક મહિના પછી 08 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે.

આ વખતે કેવો રહેશે વરસાદ ? 

એપ્રિલમાં IMDએ 2025 ચોમાસાની ઋતુ માટે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી. સાથે જ હવામાન વિભાગે 'અલ નિનો' સ્થિતિની શક્યતાને પણ નકારી કાઢી હતી, જે સામાન્ય રીતે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદનું કારણ બને છે. 'અલ નીનો' એક કુદરતી આબોહવાની ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત્ત નજીક સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે.

ચોમાસુ ભારતના કૃષિ ક્ષેત્ર માટે જીવનરેખા જેવું છે જે લગભગ 42 ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે અને દેશના GDPમાં લગભગ 18 ટકા ફાળો આપે છે. વધુમાં તે દેશભરમાં પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે મહત્વપૂર્ણ જળાશયોને ફરીથી ભરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

  • Follow us on: