એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી, એન. ચંદ્રશેખરને એર ઇન્ડિયાના રોજિંદા સંચાલનનું સીધુ નિયંત્રણ સંભાળ્યુ છે. જાન્યુઆરી 2022માં ટાટા દ્વારા એર ઇન્ડિયાને હસ્તગત કરવામાં આવ્યું હતું અને હવે તે 5 વર્ષની પુનર્નિર્માણ યોજના પર કામ કરી રહી છે. ટાટા સન્સે 12 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે 500 કરોડ રૂપિયાના જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની રચનાને મંજૂરી આપી છે.
ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય
વિમાન ક્રેશમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ જમીન પર 19 લોકો માર્યા ગયા હતા. 1996માં ચરખી દાદરી અકસ્માત પછી આ ભારતનો સૌથી મોટો વિમાન અકસ્માત બન્યો છે. 1985 પછી આ એર ઇન્ડિયાનો પહેલો જીવલેણ અકસ્માત છે અને બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના ઇતિહાસમાં પણ આ પહેલો મોટો અકસ્માત છે. અકસ્માત પછી ટાટા સન્સની પહેલી બોર્ડ મીટિંગમાં, ચેરમેન એન ચંદ્રશેખરને આ ટ્રસ્ટની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રસ્ટ મૃતકો અને ઘાયલોના પરિવારોને નાણાકીય સહાય અને લાંબા ગાળાના પુનર્વસન સહાય પૂરી પાડશે.
ટ્રસ્ટનું માળખું અને ભંડોળ વિતરણ
મૃતકોમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે, જેમની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. કારણ કે આગનું તાપમાન 1,500°C સુધી પહોંચ્યું હતું. જમીન પર લગભગ 60 લોકો ઘાયલ થયા હતા. ટ્રસ્ટની ઔપચારિક નોંધણી જુલાઈના અંત સુધીમાં કરવામાં આવશે અને તેનું સંચાલન એન. ચંદ્રશેખરન અને અન્ય સભ્યો દ્વારા કરવામાં આવશે, જેમાં કેટલાક સ્વતંત્ર અને બિન-ટાટા ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટની યોજનાઓનું નેતૃત્વ ટાટા મોટર્સ ગ્રુપના CFO પી બી બાલાજી કરી રહ્યા છે. આ ટ્રસ્ટ ઉપરાંત, ટાટા સન્સે પહેલાથી જ દરેક મૃતક પરિવારોને રૂ. 1.25 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ વળતર પણ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે. અકસ્માતમાં કુલ 275 લોકો મૃત્યુ પામ્યા હતા. 241 લોકો બોર્ડ પર હતા અને 19 લોકો જમીન પર હતા. વિમાનના એકમાત્ર જીવિત મુસાફરને પાંચ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટાટા સન્સ તેના મુખ્ય શેરધારક ટાટા ટ્રસ્ટ્સ સાથે મળીને રાહત પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. આ પહેલ ટાટા ગ્રુપના અગાઉના રાહત પ્રયાસોની યાદ અપાવે છે, જેમ કે 26/11 મુંબઈ હુમલા પછી રચાયેલ તાજ પબ્લિક વેલ્ફેર ટ્રસ્ટ.