મુંબઈથી ચેન્નાઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI639 ને ફ્લાઇટ દરમિયાન કેબિનમાં સળગવાની ગંધ આવતાં મુંબઈ એરપોર્ટ પરત ફરવું પડ્યું હતુ એર ઈન્ડિયાએ શનિવારે આ ઘટનાની પુષ્ટિ કરી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂએ સાવચેતી રાખી હતી અને પ્લેનને મુંબઈ પાછું લાવ્યું હતું.


વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું

વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું, ત્યારબાદ મુસાફરોની સુવિધા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી હતી જેથી આ અચાનક સમસ્યાને કારણે તેમને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.

મુસાફરો અને ક્રૂની સલામતી એર ઈન્ડિયાની ટોચની પ્રાથમિકતા 

શુક્રવારે, એર ઈન્ડિયાના અન્ય એક વિમાનમાં "બિન-વિશિષ્ટ સુરક્ષા ચેતવણી" પણ નોંધાઈ હતી. જો કે, સુરક્ષા ધોરણો અનુસાર તપાસ પૂર્ણ થયા પછી, તે વિમાનને આગામી ફ્લાઇટ માટે મંજૂરી આપવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું, "મુસાફરો અને ક્રૂની સલામતી એર ઈન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે."

આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે

બીજી એક ઘટનામાં, દિલ્હીથી જમ્મુ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX2564 ને પણ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ દરમિયાન દિલ્હી પાછી લાવવી પડી. એરક્રાફ્ટ A320 સવારે 10:40 વાગ્યે ઉપડવાનું હતું, પરંતુ તે 11:04 વાગ્યે ઉડાન ભરી ગયું. જમ્મુમાં બપોરે 12:05 વાગ્યે લેન્ડિંગ થવાની ધારણા હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટને દિલ્હી પાછી ફેરવી દેવામાં આવી.

એર ઈન્ડિયા એક્સપ્રેસે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, "ટેકનિકલ સમસ્યા બાદ વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અસુવિધા બદલ અમે દિલગીર છીએ." 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયા-171 ફ્લાઇટના અકસ્માત બાદ આ ઘટનાઓ સામે આવી છે, જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 241 લોકોના મોત થયા હતા.

  • Follow us on: