એર ઈન્ડિયાની ફૂકેટ-દિલ્હી ફ્લાઈટ AI2379 સાથે જોડાયેલી ઘટનામાં મોટો ખુલાસો થયો છે. 4 ઓગસ્ટે અચાનક આશરે 300 ફૂટ નીચે આવી ગયેલા વિમાનના પાયલટની પોસ્ટ-ફ્લાઈટ ડ્રગ સ્ક્રીનિંગમાં સાઈકોએક્ટિવ પદાર્થની હાજરીના સંકેત મળ્યા. શરૂઆતના ટેસ્ટ બાદ પુષ્ટિ માટે સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. આ પરીક્ષણના પરિણામને લઈને તપાસ આગળ વધી રહી છે. 

વિમાનમાં 137 મુસાફરો સવાર હતા 

આ ઘટના 4 ઓગસ્ટે બની હતી, જ્યારે Air Indiaની A320 ફ્લાઈટ ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. વિમાનમાં 137 મુસાફરો, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, તેમજ 8 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક આશરે 300 ફૂટનો ઘટાડો થયો હતો. ત્યારબાદ વિમાન સ્થિર થયું અને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું. ઘટનામાં કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો છે. 

બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવ્યા

ઘટના બાદ નિયમ મુજબ બંને પાયલટનું પોસ્ટ-ફ્લાઈટ સાઇકોએક્ટિવ સબ્સ્ટન્સ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. શરૂઆતના પરિણામ બાદ પાયલટને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. DGCAએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પાયલટને રોસ્ટરમાંથી હટાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

AAIB કરી રહ્યું છે તપાસ

આ સમગ્ર ઘટનાને ગંભીર ઉડ્ડયન ઘટના તરીકે તપાસવામાં આવી રહી છે. Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. પાયલટના ડ્રગ ટેસ્ટ ઉપરાંત વિમાનમાં અચાનક ઊંચાઈ ઘટવાનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે. Airbus અને ફ્રાન્સની BEAની ટીમ પણ તપાસમાં જોડાવા માટે દિલ્હી પહોંચવાની છે. Air Indiaના આઉટગોઈંગ CEO કેમ્પબેલ વિલ્સને મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં ઘટનાની તપાસની સ્થિતિ અંગે તેમને માહિતી આપવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : India News : ‘વંદે માતરમ‌’નું અપમાન હવે બનશે ગુનો, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો થશે લાગુ