મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી અચાનક અને ગંભીર હતી કે વિમાન જમીન સાથે અથડાતાં જ આગમાં ઘેરાઈ ગયું અને થોડા જ પળોમાં બધું સમાપ્ત થઈ ગયું.


ક્રૂ મેમ્બરના છેલ્લા શબ્દો

DGCAના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ક્રેશ થવા પહેલાં કોકપિટમાંથી છેલ્લાં શબ્દો સાંભળવામાં આવ્યા હતા – “Oh Sh*t…”. આ શબ્દો દર્શાવે છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટ અને ક્રૂ અચાનક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.

દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ

અહેવાલો અનુસાર, આ ખાનગી બિઝનેસ જેટ મુંબઈથી ઉડાન ભરી બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. વિમાનમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ઉપરાંત બે ક્રૂ સભ્યો – કેપ્ટન સુમિત કપૂર અને સહ-પાઇલટ કેપ્ટન સંભવી પાઠક, સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી હાજર હતા. વિમાનનું પહેલું લેન્ડિંગ પ્રયાસ સફળ ન થતા પાઇલટે બીજી વાર લેન્ડિંગ પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બીજા પ્રયાસ દરમિયાન વિમાનનું સંતુલન બગડી ગયું અને તે રનવે થ્રેશોલ્ડથી થોડું ઓછું જમીન પર તૂટી પડ્યું.

જમીન સાથે અથડાતાં જ આગ અને વિસ્ફોટ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જમીન પર પડતાની સાથે જ તેમાં ભયાનક આગ લાગી ગઈ. થોડા સેકન્ડોમાં એક પછી એક ચારથી પાંચ વિસ્ફોટ થયા, જેના કારણે સમગ્ર વિસ્તાર કંપી ઉઠ્યો. નજીકના ખેડૂતો અને સ્થાનિક લોકો ઘબરાઈ ગયા અને ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધી વિમાન સંપૂર્ણપણે બળી ચૂક્યું હતું. DGCA અધિકારીઓએ જણાવ્યું કે વિમાન એરસ્ટ્રીપની અંદર જ ક્રેશ થયું હતું, એટલે કે તે એરપોર્ટની સીમામાં હતું. તેમ છતાં, ટક્કર એટલી ભયાનક હતી કે બચાવનો કોઈ મોકો રહ્યો ન હતો.

ગ્રાઉન્ડ કંટ્રોલ અને એરપોર્ટની સ્થિતિ

બારામતી એરપોર્ટની ગ્રાઉન્ડ કંટ્રોલ સુવિધા મુખ્યત્વે બે ખાનગી એવિએશન એકેડેમી – રેડબર્ડ એવિએશન અને કાર્વર એવિએશનના પાઇલટ કેડેટ્સ દ્વારા સંચાલિત થાય છે. અહેવાલ મુજબ, વિમાન આ જ ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે સંપર્કમાં હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, બીજો લેન્ડિંગ પ્રયાસ અસફળ રહ્યો હતો. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે બારામતી એરપોર્ટમાં આધુનિક લેન્ડિંગ સહાય સિસ્ટમનો અભાવ છે, જે પણ અકસ્માતનું એક કારણ બની શકે છે.

તપાસમાં કયા મુદ્દાઓ પર ધ્યાન?

  • DGCA અને અન્ય તપાસ એજન્સીઓ હવે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
  • લેન્ડિંગ સમયે પાઇલટનો નિર્ણય
  • રનવેની સ્થિતિ
  • હવામાન પરિસ્થિતિ
  • એરપોર્ટની ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ
  • ટેકનિકલ ખામી (જો કોઈ હોય તો)
  • વિમાનમાંથી મળેલ વૉઇસ રેકોર્ડિંગ અને ટેકનિકલ ડેટાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.

નાના એરપોર્ટ્સ પર સલામતી વ્યવસ્થા?

આ દુર્ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે નાના એરપોર્ટ્સ પર સલામતી વ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજી કેટલી જરૂરી છે. “Oh Sh*t…” જેવા છેલ્લાં શબ્દો માત્ર એક અવાજ નથી, પરંતુ એક પળમાં બદલાઈ ગયેલી આખી જિંદગીની ચીસ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ ભયાનક દુર્ઘટનાના સાચા કારણો સામે આવશે.

આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : સત્તા બદલાતી રહી, પદ નહીં! 45 વર્ષ અજિત પવાર હંમેશા ‘ડેપ્યુટી’ કેમ રહ્યા?


  • Follow us on: