બિહારમાં આજે 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે પીએમ મોદી આજે બિહાર પહોંચ્યા છે. બીજા તબક્કાના મતદાન માટે આવતી બેઠક અરરિયા ખાતેથી સંબોધન કર્યું. તેમણે કહ્યું કે બિહારમાં ફરી એકવાર સુશાસનની સરકાર આવશે. તમારું સપનુ એ મોદીનો સંકલ્પ છે.તમારા સપના જંગલરાજમાં કચડાઇ ગયા છે. બિહારના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બિહારના યુવાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે આજે બિહારના વિકાસ માટે મતદાનનો પ્રથમ તબક્કો થઈ રહ્યો છે. બિહારના વિવિધ ખૂણાઓથી સોશિયલ મીડિયા પર અદભુત તસવીરો આવી રહી છે. સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો લાગી રહી છે. માતાઓ, બહેનો અને પુત્રીઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. બિહારના યુવાનોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ છે. હું બધા મતદારોને અભિનંદન આપું છું. હું લોકોને બહાર આવીને મતદાન કરવા અપીલ કરું છું.
જંગલરાજમાં શું થયો વિકાસ? - PM Modi
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જંગલ રાજના યુગ દરમિયાન બિહારમાં થયેલા વિકાસનું રિપોર્ટ કાર્ડ શૂન્ય છે. 1990 થી 2005 સુધી એટલે કે 15 વર્ષ સુધી જંગલ રાજે બિહારનો નાશ કર્યો. તે સમયે સરકાર ચલાવવાના નામે તેઓએ ફક્ત લૂંટ્યા. તેથી જ હું કહું છું, શૂન્યનો આંકડો યાદ રાખો. બિહારમાં જંગલ રાજના 15 વર્ષમાં બનેલા એક્સપ્રેસવે, ફ્લાયઓવરની સંખ્યા શૂન્ય છે
આ તો શરૂઆત છે..હજી તો એકબીજાના વાળ ખેંચશે- પીએમ મોદી
PM મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા, મેં કોંગ્રેસ અને આરજેડી વચ્ચે ચાલી રહેલા ઝઘડા પાછળનું સત્ય ઉજાગર કર્યું હતું. આ સત્ય બહાર આવ્યા પછી તેમની વચ્ચેનો ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. હમણાં જ, આપણે જોયું કે કોંગ્રેસે હવે આરજેડી સામે ડેપ્યુટી સીએમ પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. તે મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યો છે, અને તેમાં, તે આરજેડીના જંગલ રાજ વિશેનું સત્ય ઉજાગર કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જંગલ રાજમાં, દલિતો, મહાદલિતો અને અત્યંત પછાત વર્ગોએ સૌથી વધુ અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. આ તો શરૂઆત છે; ચૂંટણી પરિણામો આવે તેની રાહ જુઓ, આ કોંગ્રેસ અને આરજેડીના લોકો એકબીજાના વાળ ખેંચશે..