15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધી 'વિકસિત ભારત'નું વિઝન રજૂ કર્યા બાદ કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવા માટે વિદેશી સીધા રોકાણ (FDI)ના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટ FDI સંબંધિત બે મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી શકે છે.
FDIની મર્યાદા 15,000 કરોડ કરવાની વિચારણા
સૌથી મોટો ફેરફાર FDI પ્રસ્તાવની મંજૂરી પ્રક્રિયામાં થઈ શકે છે. હાલ 5,000 કરોડ રૂપિયાથી વધુના વિદેશી રોકાણ માટેનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) સમક્ષ મોકલવો પડે છે. હવે સરકાર આ મર્યાદા વધારીને 15,000 કરોડ રૂપિયા કરવાની વિચારણા કરી રહી છે. જો દરખાસ્તને મંજૂરી મળે તો 15,000 કરોડ રૂપિયા સુધીના રોકાણને CCEAની મંજૂરીની જરૂર નહીં રહે અને સંબંધિત મંત્રાલય પોતાના સ્તરે જ તેને મંજૂરી આપી શકશે.
