કેન્દ્ર સરકારે ચાંદીની આયાતને લઈને નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. સરકારે ચાંદીની કેટલીક કેટેગરીને ‘ફ્રી લિસ્ટ’માંથી હટાવીને ‘રિસ્ટ્રિક્ટેડ કેટેગરી’માં મૂકી દીધી છે. એટલે કે હવે આ કેટેગરીની ચાંદી આયાત કરવા માટે વધારાની મંજૂરી લેવી પડી શકે છે અને આયાત પ્રક્રિયા પહેલાની સરખામણીએ વધુ કડક બનશે. સરકારનો આ નિર્ણય દેશમાં કિંમતી ધાતુઓના વધતા આયાતને નિયંત્રિત કરવા અને ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધ ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.
ચાંદીની આયાત પર પણ કડકાઈ
છેલ્લા કેટલાક સમયથી સોનું અને ચાંદીના આયાતમાં વધારો થતા વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સરકારને એવી પણ ચિંતા છે કે સોનાની આયાત શુલ્કમાં વધારો થયા બાદ લોકો હવે રોકાણ અને જ્વેલરી માટે ચાંદી તરફ વધુ વળી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને હવે ચાંદીના આયાત પર પણ કડકાઈ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલાં સરકારે સોના અને ચાંદી બંને પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.
