કેન્દ્ર સરકારે ચાંદીની આયાતને લઈને નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. સરકારે ચાંદીની કેટલીક કેટેગરીને ‘ફ્રી લિસ્ટ’માંથી હટાવીને ‘રિસ્ટ્રિક્ટેડ કેટેગરી’માં મૂકી દીધી છે. એટલે કે હવે આ કેટેગરીની ચાંદી આયાત કરવા માટે વધારાની મંજૂરી લેવી પડી શકે છે અને આયાત પ્રક્રિયા પહેલાની સરખામણીએ વધુ કડક બનશે. સરકારનો આ નિર્ણય દેશમાં કિંમતી ધાતુઓના વધતા આયાતને નિયંત્રિત કરવા અને ટ્રેડ ડેફિસિટ એટલે કે વેપાર ખાધ ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

ચાંદીની આયાત પર પણ કડકાઈ

છેલ્લા કેટલાક સમયથી સોનું અને ચાંદીના આયાતમાં વધારો થતા વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સરકારને એવી પણ ચિંતા છે કે સોનાની આયાત શુલ્કમાં વધારો થયા બાદ લોકો હવે રોકાણ અને જ્વેલરી માટે ચાંદી તરફ વધુ વળી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને હવે ચાંદીના આયાત પર પણ કડકાઈ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલાં સરકારે સોના અને ચાંદી બંને પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

વિદેશી મુદ્રા ભંડાર બચાવવા પર ફોકસ

સરકાર હાલ વિદેશી મુદ્રા ભંડાર બચાવવા અને રૂપિયામાં વધતા દબાણને ઓછું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે કિંમતી ધાતુઓના આયાતમાં સતત વધારો થશે તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને વેપાર ખાધ બંને વધી શકે છે. સરકારી આંકડા મુજબ એપ્રિલ મહિનામાં સોના અને ચાંદીનો આયાત છેલ્લા લગભગ 30 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. ઊંચી આયાત શુલ્ક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતો તેના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે. હવે નવા પ્રતિબંધો બાદ આગામી સમયમાં ચાંદીના આયાતમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Delhi સરકારનો મોટો નિર્ણય એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર VATમાં કર્યો ધરખમ ઘટાડો