દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સરકાર દ્વારા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર લાગતા વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે VATને 25%થી ઘટાડીને 7% કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા છે.

અગાઉ મહારાષ્ટ્રે પણ આવો જ ટેક્સ ઘટાડો કર્યો હતો

સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો લાભ મુસાફરો અને એરલાઈન કંપનીઓ બંનેને મળશે. અગાઉ મહારાષ્ટ્રે પણ આવો જ ટેક્સ ઘટાડો કર્યો હતો, જેના કારણે ત્યાં એરલાઇન ઓપરેટર્સને ફાયદો થયો હતો અને ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. હાલ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીની આ નીતિ હવાઈ મુસાફરીને થોડી સસ્તી બનાવી શકે છે. દિલ્હીમાં લાંબા સમયથી ATF પર ઊંચો VAT લાગતો હોવાથી એરલાઇન ઉદ્યોગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

દિલ્હી એવિએશન હબ બનશે

વિમાન ભાડા વધવાને કારણે મુસાફરોની સંખ્યા પર પણ અસર પડી હોવાનું માનવામાં આવે છે. હવે VAT ઘટાડવાના કારણે એરલાઇન્સને આર્થિક રાહત મળશે અને દિલ્હીનું એવિએશન હબ તરીકેનું સ્થાન વધુ મજબૂત થઈ શકે છે. વિમાન ઉદ્યોગના નિષ્ણાતો પણ લાંબા સમયથી ટેક્સ ઘટાડાની માગ કરી રહ્યા હતા. હાલમાં આ મુદ્દે ચર્ચા અંતિમ તબક્કામાં છે. જો આ નિર્ણય અમલમાં આવે તો આગામી સમયમાં હવાઈ ભાડાં ઘટી શકે છે અને એરપોર્ટ્સ પર મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો : Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના થયા મોત