ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ફૂલ સ્પીડમાં દોડી રહેલી કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં ઊભા રહેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે કારમાં સવાર તમામ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી

આ અકસ્માત કંધરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માઈલસ્ટોન 238 પાસે થયો હતો. માહિતી અનુસાર, હરિયાણા નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર મઉથી લખનઉ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર સીધી રસ્તા કિનારે ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી

સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત કારને હટાવવાની કામગીરી કરી રહી છે, જેથી ટ્રાફિક ફરીથી સામાન્ય થઈ શકે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરને શક્ય છે કે ઊંઘ આવી ગઈ હોય, જેના કારણે કાર અનિયંત્રિત બની ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતના સાચા કારણોની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Indian Army:નકશામાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે, પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ચેતવણી