મહાદેવ એપ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBIએ છ આરોપીઓ અસીમ દાસ, રોહિત ગુલાટી, વિકાસ છાપરિયા, અનિલ ધમ્માણી, વિશાલ આહુજા અને ધીરજ આહુજા વિરુદ્ધ છેતરપિંડી,બનાવટી દસ્તાવેજો અને ગુનાહિત કાવતરાના ગુનાઓ માટે ચાર્જશીટ દાખલ કરી છે.CBIએ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ તેમજ અન્ય લોકો વિરુદ્ધ વધારાના પુરાવા પણ રજૂ કર્યા છે.જેમની સામે અગાઉ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

સટ્ટાબાજી સિન્ડિકેટ પેનલના સભ્યોનો સમાવેશ

CBIના જણાવ્યા મુજબ, મહાદેવ એપના અન્ય એક કેસમાં તપાસ એજન્સીએ 66 આરોપીઓ વિરુદ્ધ પાંચ ચાર્જશીટ દાખલ કરી છે.જેમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ તેમજ સટ્ટાબાજી સિન્ડિકેટ પેનલના સભ્યોનો સમાવેશ થાય છે.જેમની મદદથી ગુનાની કમાણીને અન્યત્ર વાળવામાં આવી હતી.મહાદેવ એપ એ દેશમાં પકડાયેલા સૌથી મોટા ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટ્સમાંનું એક છે.જે ભારતની બહારથી ચલાવવામાં આવતું હતું. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લાખો યુઝર્સ સુધી પહોંચીને આનું એક દેશવ્યાપી નેટવર્ક ઊભું કર્યું હતું.આ સિન્ડિકેટ દેશભરમાં ગેરકાયદેસર સટ્ટાબાજીની પેનલો ચલાવતી હતી. યુઝર્સની નોંધણી કરતી હતી અને ગેમ્સ તેમજ સટ્ટાબાજીના બજારો ચલાવતી હતી. તેનાથી જે ગેરકાયદેસર નફો થતો તેને બેનામી બેંક ખાતાઓ નિકાલીને લોન્ડરિંગ કરવામાં આવતો અને અંતે આ નાણાં વિદેશ મોકલી દેવાતા હતા.

સહયોગીઓ પશ્ચિમ એશિયાના દેશોમાં ભાગી ગયા હતા

ગુનાની આ કમાણીનો એક ભાગ સરકારી કર્મચારીઓને લાંચ તરીકે ચૂકવવામાં આવતો હતો.તપાસમાં બહાર આવ્યું છે કે મહાદેવ એપના પ્રમોટર્સ અને તેમના કેટલાક સહયોગીઓ થોડા વર્ષો પહેલા પશ્ચિમ એશિયાના દેશોમાં ભાગી ગયા હતા અને ભારતની બહારથી આ નેટવર્ક ચલાવવાનું ચાલુ રાખ્યું છે.વિદેશ ભાગી ગયેલા ચાર મુખ્ય આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી ચૂકી છે.તેમને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ સિન્ડિકેટના સંપૂર્ણ વ્યાપ તેમજ તેને મળેલા રાજકીય અને અમલદારશાહીના પીઠબળને ઉજાગર કરવા અને આમાં સામેલ અન્ય તમામ આરોપીઓને ન્યાયના કટઘરામાં લાવવા માટે વધુ તપાસ ચાલી રહી છે.CBIએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં વધુ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: વાહનચાલકો આજે સાંજે 7 વાગ્યા સુધી આ રસ્તેથી પસાર થતાં ચેતજો, જાણો શું છે ટ્રાફિકનું જાહેરનામું