હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ભારે ચર્ચામાં છે. પ્રદર્શન કરવાથી લઈને સોશિયલ મીડિયા ટ્રેન્ડ સુધી આ ગ્રુપ સક્રિય દેખાઈ રહ્યું છે. જો કે, હાલમાં CJP કોઈ સત્તાવાર રાજકીય પક્ષ નથી, પરંતુ એક કટાક્ષ અને વિરોધ પ્રદર્શન આધારિત જૂથ છે, જેણે કોકરોચને પોતાના પ્રતીક તરીકે અપનાવ્યું છે. ભવિષ્યમાં તેઓ રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવવાની વાત પણ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું કાયદાકીય રીતે ‘કોકરોચ’ કોઈ પાર્ટીનું સત્તાવાર ચૂંટણી ચિન્હ બની શકે ખરું? ચૂંટણી પંચના નિયમો પર નજર નાખીએ તો આ સવાલનો જવાબ નકારાત્મક દેખાય છે.
કોકરોચ જનતા પાર્ટી ક્યાંથી અસ્તિત્વમાં આવી?
આ વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના એક નિવેદનથી થઈ હતી. ન્યાયતંત્રમાં ખોટી રીતે પ્રવેશેલા કેટલાક લોકો પર ટિપ્પણી કરતા તેમણે ‘કોકરોચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેઓ કાયદાના ક્ષેત્રમાં સફળ ન થતાં કોર્ટની પ્રક્રિયાઓ અને ન્યાયાધીશો પર દોષારોપણ કરવા લાગે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ શબ્દ વાયરલ થયો અને વિરોધના પ્રતીક રૂપે 'કોકરોચ જનતા પાર્ટી'નો ઉદ્ભવ થયો.
શું કહે છે ચૂંટણી ચિન્હ ફાળવણીનો કાયદો?
ભારતમાં ચૂંટણી ચિન્હોની ફાળવણી ‘ઇલેક્શન સિમ્બોલ્સ (રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ) ઓર્ડર, 1968’ હેઠળ કરવામાં આવે છે. આ કાયદો ભારતીય ચૂંટણી પંચને રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ચિન્હો ફાળવવાનો અધિકાર આપે છે. નવા કે બિન-માન્યતા પ્રાપ્ત પક્ષો ચૂંટણી પંચ સમક્ષ પોતાની પસંદગીના ચિન્હોની યાદી આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય પંચનો જ હોય છે.
ચૂંટણી પંચની ‘ફ્રી સિમ્બોલ્સ’ (મુક્ત ચિન્હો) ની યાદીમાં સામાન્ય જીવન સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે એર કંડિશનર, ફ્રાઈંગ પેન, ટૂથબ્રશ અને ફળો વગેરેનો સમાવેશ થાય છે, જેથી ઓછું ભણેલા મતદારો તેને સરળતાથી ઓળખી શકે.
પશુ-પક્ષીઓના ચિન્હો પર શા માટે છે પ્રતિબંધ?
એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાસે 'ગાય અને વાછરડું', બસપા પાસે 'હાથી' અને દક્ષિણ ભારતમાં 'મરઘો' જેવા ચિન્હો હતા. પરંતુ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે કામ કરતી સંસ્થાઓની ચિંતા અને ચૂંટણી પ્રચાર દરમિયાન પશુઓના દુરુપયોગને રોકવા માટે, ચૂંટણી પંચે હવે પશુ-પક્ષી આધારિત ચિન્હો આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
ચૂંટણી પંચના કડક દિશાનિર્દેશો મુજબ, કોઈ પણ નવું ચૂંટણી ચિન્હ ધાર્મિક, સાંપ્રદાયિક કે પશુ-પક્ષીઓ સાથે જોડાયેલું હોવું જોઈએ નહીં. આથી, જો ભવિષ્યમાં કોકરોચ જનતા પાર્ટી સત્તાવાર પક્ષ તરીકે નોંધણી કરાવશે, તો પણ તેને 'કોકરોચ'નું ચૂંટણી ચિન્હ મળવું અશક્ય છે.
આ પણ વાંચો:US Iran War:અમેરિકાએ ઈરાન પર દાગી શક્તિશાળી ‘ટોમહોક’ મિસાઈલો,લશ્કરી છાવણીઓનો વિનાશ