અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સામે ચાંદલોડિયા વિસ્તારમાં સ્થાનિક રહીશોનો ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ચાંદલોડિયામાં છેલ્લા 4 દિવસથી એએમસીના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા મોટા પાયે તોડફોડની કાર્યવાહી ચાલી રહી છે, જેનો સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને સખત વિરોધ કરી રહ્યા છે. ઘર વિહોણા બનેલા સેંકડો પરિવારોએ તંત્ર સામે મોરચો માંડીને ઘટનાસ્થળે જ ધરણા શરૂ કરી દીધા છે, જેને પગલે વિસ્તારમાં ભારે તણાવભર્યો માહોલ સર્જાયો છે.


 મેગા ડિમોલિશન ડ્રાઈવ

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં ૧૨ મીટરના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જોકે, સ્થાનિક રહીશોનો દાવો છે કે તેઓ આ જગ્યા પર કોઈ ગેરકાયદે ઘૂસણખોરી કરીને નથી રહેતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીં વસવાટ કરે છે.

તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું?

વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર વર્ષોથી તેમની પાસેથી નિયમિતપણે પ્રોપર્ટી ટેક્સ (વેરો) વસૂલતું આવ્યું છે. જો આ મકાનો ગેરકાયદેસર હતા, તો તંત્ર અત્યાર સુધી વેરો કેમ લેતું હતું?

તેમને 'ઘર સામે ઘર' આપવામાં આવે

પીડિત રહીશોની મુખ્ય માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તેમને 'ઘર સામે ઘર' આપવામાં આવે, જેથી આ કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને બાળકોને રઝળવાનો વારો ન આવે. પુનઃવસનની કોઈ ચોક્કસ ખાતરી ન મળવાને કારણે સ્થાનિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.

તંત્ર નડતરરૂપ તમામ દબાણો હટાવવા પર મક્કમ

બીજી તરફ, એએમસીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા છે અને રોડ લાઈનમાં નડતરરૂપ તમામ દબાણો હટાવવા પર મક્કમ છે. વિકાસના નામે ગરીબોના આશિયાના છીનવાઈ જવાની આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : સુરતના સારોલી ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના વેપારીએ 7મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

  • Follow us on: