મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં આવેલા એક પહાડ પાસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 18 વર્ષીય કુણાલ ચાંદવડે કોઈ અગમ્ય કારણોસર પરેશાન થઈને સવારે પહાડ પર પહોંચી ગયો હતો. પુત્ર પહાડ પર હોવાની જાણ થતાં જ તેના માતા-પિતા, ગ્રામજનો અને સરપંચ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક સુધી કુણાલને નીચે ઉતારવાના પ્રયાસો ચાલ્યા હતા.
પિતા અને પુત્ર બંને પહાડ પરથી નીચે ખાબક્યા
તેની માતા સંગીતાબેન સતત તેની સાથે વાત કરીને તેને સમજાવી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક સરપંચે કુણાલને મનાવવા માટે આઇફોન અપાવવાની પણ લાલચ આપી હતી પરંતુ કુણાલ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. ત્રણ કલાક સુધી ચાલેલી આ સમજાવટ બાદ કુણાલના પિતા મુરલીધર પોતે પહાડ પર તેના સુધી પહોંચ્યા હતા. તેમણે કુણાલને પકડીને સુરક્ષિત નીચે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન જ પિતા અને પુત્ર બંને અચાનક પહાડ પરથી નીચે ખાબક્યા હતા.
