હરિયાણાનો મોસ્ટ વોન્ટેડ અને કરોડપતિ ગેંગસ્ટર રાવ ઈન્દ્રજીતને અંતે કાયદાના સકંજામાં લેવામાં આવ્યો છે. દુબઈ પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લઈને ભારતીય એજન્સીઓને તેની જાણ કરી છે. લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી વિદેશમાં રહીને પોતાનું ગુનાહિત નેટવર્ક ચલાવી રહ્યો હતો, જેને લઈને હરિયાણા પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ માટે તે મોટો પડકાર બની ગયો હતો.

તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં હતી

દુબઈમાં થયેલી આ ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે. હરિયાણા પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધમાં હતી. હવે તેની ધરપકડ થતાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે અન્ય ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બની શકે છે. મળતી માહિતી મુજબ દુબઈ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તરત જ ભારતીય એજન્સીઓને જાણ કરી દીધી હતી.

ક્યારે લવાશે ભારત?

ત્યારબાદ હરિયાણા STF દ્વારા તેને ભારત લાવવા માટેની પ્રત્યર્પણ પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં તેને ભારત લાવવામાં આવશે. આ ઘટનાથી હરિયાણામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પોલીસને મોટી સફળતા મળી છે. સાથે જ, આ ધરપકડથી અન્ય ગુનેગારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : Bangladeshના વિદેશ મંત્રીની શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી પર ભારતનું મૌન