મહારાષ્ટ્રના વાશિમ જિલ્લા કોર્ટે કસ્ટોડીયલ હત્યાના એક ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં કૂલ 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લગભગ 15 વર્ષ જૂનો આ મામલો 10 મેના રોજ રિસોડ પોલીસ સ્ટેશન સાથે સંબંધિત છે.

અમાનવીય રીતે મારપીટ કરવામાં આવી હતી

મળતી માહિતી મુજબ પોલીસે રાત્રે 3 વાગ્યે પરધી સમાજના બેંગ્યા પવાર નામના વ્યક્તિને તેના ઘરેથી ઉઠાવ્યો હતો. પોલીસનું કહેવું હતું કે તેને માત્ર પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તેની પર અમાનવીય રીતે મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે કસ્ટડી દરમિયાન જ તેનું મોત થયું હતું.

મૃતક પર કોઈપણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ નહોતો

મૃતક પર કોઈપણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ નહોતો. ઘટનાના માત્ર એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. પુત્રના મોત બાદ પરિવાર ન્યાય માટે લાંબા સમય સુધી લડતો રહ્યો, પરંતુ શરૂઆતમાં ફરિયાદ નોંધવામાં પણ અવગણના કરવામાં આવી હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરની અનેક હાડકાં તૂટેલી હોવાનું સામે આવ્યું હતું, જેના પરથી મારપીટની પુષ્ટિ થઈ હતી. કેસની ગંભીરતા જોતા CID અધિકારીએ વિગતવાર તપાસ કરી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

મૃતકની માતાએ ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો

લગભગ 15 વર્ષ ચાલેલા કેસ બાદ વાશિમ સેશન કોર્ટના જજ ઝપાટે દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. ચુકાદા બાદ તમામ દોષિત પોલીસકર્મીઓને વાશિમ જેલમાં મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને અમરાવતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. મૃતકની માતાએ ન્યાય મળતા સંતોષ વ્યક્ત કર્યો છે અને CID તેમજ કોર્ટનો આભાર માન્યો છે. આ ચુકાદો પોલીસ જવાબદારી અને માનવ અધિકારોના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Doping સામે કડક કાયદો લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ચોમાસુ સત્રમાં લાવી શકે છે બિલ