દેશની રાજધાની દિલ્હીમાં ઇમારતો ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરવાની નીતિના કારણે નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓ પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં જ દિલ્હીમાં છ મોટા મકાન ધરાશાયી થવાના અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દિલ્હી ક્યારે પાઠ શીખશે?

દેશભરમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે. માતા-પિતા પોતાના સંતાનોને મોટી અપેક્ષાઓ સાથે મોકલે છે, પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે જ્યારે કોઈ હોનહાર વિદ્યાર્થી આવા અકસ્માતમાં મોતના મુખમાં ધકેલાય છે, ત્યારે તે પરિવારો માટે આખીિ જિંદગીનું દુઃખ બની જાય છે. તાજેતરમાં જ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં આવો જ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સાંકડી શેરીઓમાં આવેલી અને પીજી (PG) તરીકે ઉપયોગમાં લેવાતી આશરે 30 વર્ષ જૂની જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ ઇમારતમાં ગેરકાયદેસર રીતે વધારાના માળો ઉમેરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પહેલા બનેલી ઘટનામાં અનેકના જીવ ગયા

આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીએ આવી દુર્ઘટના જોઈ હોય. આ વર્ષે જુલાઈમાં રોહિણી વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતાં 3 કામદારોના મોત થયા હતા. આ અગાઉ 30 મેના રોજ સાકેત મેટ્રો સ્ટેશન નજીક સૈદુલાજબ વિસ્તારમાં પાંચ માળની ગેરકાયદેસર વ્યાપારી ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના જીવ ગયા હતા. તેવી જ રીતે, જુલાઈ 2025માં ઉત્તરપૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જર્જરિત મકાન તૂટવાથી અનેક લોકો માર્યા ગયા હતા, જ્યારે 17 મે 2025ના રોજ પહાડગંજમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ભોંયરું ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા હતા. આ ઉપરાંત, 18 એપ્રિલ 2025ના રોજ મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી થવાની ગોઝારી ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જર્જરિત મકાનો સામે કેમ કાર્યવાહી નથી કરાતી?

વારંવાર બનતી આ દુર્ઘટનાઓ દર્શાવે છે કે શહેરમાં ધમધમતા ગેરકાયદેસર બાંધકામો અને જર્જરિત મકાનો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સવાલ એ ઊભો થાય છે કે વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની જ રાહ જોતું હોય છે? જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો દિલ્હીના આવા અસંખ્ય વિસ્તારોમાં લોકોના માથે મોતનું જોખમ સતત તોળાતું રહેશે.

આ પણ વાંચોઃ Weather Update : બિહારથી લઇને MP સુધી પૂરની પરિસ્થિતિ, આજે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી