દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રોહિણી સેક્ટર-16માં એક જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની શક્યતા છે.

બચાવ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ અને અન્ય બચાવ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી બુધવારે સાંજે લગભગ 4:20 વાગ્યે મળી હતી. આ ઘટના રોહિણી સેક્ટર-16માં MCD સ્કૂલ નજીક બની હતી, જ્યાં અચાનક એક મકાન તૂટી પડ્યું હતું. માહિતી મળતા જ ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને ચાર રેસ્ક્યૂ વાહનોને ઘટનાસ્થળે મોકલ્યા. હાલ બચાવકર્મીઓ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. રાહત કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરવામાં આવ્યો છે.

વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

હાલ સુધી એ સ્પષ્ટ થયું નથી કે મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ શું હતું અને કેટલા લોકો કાટમાળમાં ફસાયેલા છે. જોકે, સતત થઈ રહેલા વરસાદને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રશાસન દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાસ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતનો કાટમાળ ચારે તરફ ફેલાયેલો જોવા મળે છે. આસપાસના લોકો મદદ માટે એકઠા થયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ નુકસાન અને અસરગ્રસ્ત લોકો અંગેની સંપૂર્ણ માહિતી મળી શકશે.

આ પણ વાંચો : Mahadev App Case : પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાં કરાઈ ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ